Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

લતિફ-લાલિયોઃ ૨ ગુંડાઓને પડકારવાની હિંમત કેશુભાઈની રાજકીય કારકિર્દી ઘડવામાં નિર્ણાયક બની

કેશુભાઈએ લતિફને પરચો બતાવીને મેળવેલી સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે

નવી દિલ્હી, તા.૨૯: ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતામહ કહેવાતા કેશુભાઈ પટેલના નિધનથી ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. તો સાથે જ એક શૂન્યવકાશ પણ સર્જાયો છે. જનસંધથી લઈને ભાજપના મૂળિયા રાજકારણમાં ઊંડા ઉતારવામાં કેશુબાપાનો મોટો ફાળો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને તેઓએ રાજનીતિમા ચાલતા શીખવાડ્યા હતા. ગુજરાતે એક અઠવાડિયાના ગાળામાં ત્રણ દિગ્ગજ મહાનુભાવોને ગુમાવ્યા છે. મહેશ અને નરેશ કનોડિયા જેવા દિગ્ગજ કલાકારો બાદ કેશુભાઈ પટેલનું નિધન ગુજરાત માટે મોટી ખોટ સાબિત થઈ છે. કેશુભાઈને રાજકીય કારકિર્દીને વેગ આપવામાં માં બે દ્યટનાઓ બહુ જ મહત્વની ગણાય છે. 

પહેલી ઘટના

કેશુભાઈ વિસાવદરમાં જન્મ્યા હતા, પરંતુ તેમની કર્મભૂમિ રાજકોટ રહી હતી. પરિવારમા ખેતીની આવક બહુ જ નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં લોટ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે લોટ દળવાની ઘંટી નાંખીને તેઓએ તેમાંથી થોડી આવક રળી લીધી હતી. તેના બાદ તેઓ આરએસએસમાં જોડાયા હતા. સંદના સ્વંયસેવક તરીકે ગામે ગામે સાઈકલ લઈને ફરતા હતા. પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી ન રાખી. પરંતુ ૧૯૬૦ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં મોટુ કારણ બની હતી.  રાજકોટમાં એક સમયે લાલિયો નામના ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ ભર બજારમા તેને માર માર્યો હતો. ત્યાંથી તેમનો નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. કેશુબાપાએ જાહેરમા તેની ધોલાઈ કરી હતી.

જનસંઘથી પક્ષ સાથે સંકળાયેલા હતા. સૌરાષ્ટ્રના નેતા તરીકેની છાપ લાલિયાની ઘટના બાદ ઉભરી હતી. ત્યાર બાદ રાજકોટમાં આ દરમિયાન તેઓએ દૂધની ડેરી શરૂ કરી હતી. પછી ૧૯૮૦ થી ભાજપના ટોચના નેતા તરીકે રાજય સ્તરે ગણતરી થવા લાગી.

બીજી ઘટના

અમદાવાદમા એક સમયે લતિફ નામના ગુંડાની ધાક હતી. ત્યારે અમદાવાદના દરિયાપુર, પોપટીયા વાર્ડ, જોર્ડન રોડ વગેરે વિસ્તારોમાં હિન્દુઓ તો ઠીક, પોલીસ પણ જઈ શકતી ન હતી, ત્યાં  લતિફની દાદાગીરી સામે કેશુભાઈએ અવાજ ઉઠાવ્યો, એટલુ જ નહિ લતીફના ગઢ સમાન પોપટીયા વાર્ડમાં લોકદરબારનો જાહેર કાર્યક્રમ યોજયો હતો. તેનાથી નીડર અને હિમંતવાન નેતા તરીકેને છબી રાજયસ્તરે ઉભરી આવી. એ પછી સ્થાનિક ચૂંટણીઓમા તેઓએ લતિફને મુદ્દો બનાવ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કબજો કરીને ઈતિહાસ સજર્યો હતો. એ જ સફળતા આજના ભાજપની મજબૂતી માટે કારણભૂત ગણાય છે.

(3:26 pm IST)