Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મહેબૂબા મુફ્તી સામે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ જૌનપુરની કોર્ટમાં કેસ દાખલ : 27મીએ સુનવણી

કલમ 370ની પુન:સ્થાપના અને ભારતના રાષ્ટ્રધ્વજ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી વિરુદ્ધ ઉત્તરપ્રદેશના જૌનપુરની કોર્ટમાં કેસ દાખલ થયો છે. તેમના પર કલમ 370ની પુન:સ્થાપના અને ભારતના રાષ્ટ્રધ્વજ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના વકીલ હિમાંશુ શ્રીવાસ્તવ દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં કોર્ટે સુનાવણી માટે 27 નવેમ્બરની તારીખ નક્કી કરી છે

  ગત 23 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ એક પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું કે તેઓ કલમ 370 ની પુન:સ્થાપનાની લડત ચાલુ રાખશે. તેઓ આજના ભારત સાથે સહજ નથી. "અમારો ધ્વજ લૂંટાયો છે. તે હજી સુધી પાછો મળ્યો નથી, હું બીજો કોઈ ધ્વજ ઉઠાવીશ નહીં.

  કેસ દાખલ કરનાર વકીલ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મીડિયા દ્વારા મને મહેબૂબા મુફ્તીના આ ભડકાઉ, રાજદ્રોહાત્મક નિવેદનની માહિતી મળી. આ નિવેદને અમને ભારે માનસિક તકલીફ આપી છે તેમજ અપમાન અને અસંતોષ પેદા કર્યો છે. આ નિવેદન માટે તેમણે માફી પણ માંગી નથી. દેશને નબળો પાડવાનો, કાયદા દ્વારા સ્થાપિત સરકાર પ્રત્યે તિરસ્કાર, અપમાન, દ્વેષ તેમજ વિવિધ વર્ગમાં શત્રુતા, અણબનાવ, નફરત ભડકાવવાનો પ્રયાસ કર્યો છે જે દેશદ્રોહની શ્રેણીમાં આવેે છે. તેમણે ભારત દેશનું ગૌરવ એવા રાષ્ટ્રધ્વજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. વકીલે કોર્ટને દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવવા માટે મહેબૂબા મુફ્તી વિરુદ્ધ કેસ દાખલ કરવાની માગણી કરી છે.

(11:52 am IST)