Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મોંઘવારીને લીધે લોકોની ખરીદશક્‍તિ ઘટી

દેશની ૮૦ ટકા વસતિ દૈનિક રૂ. ૧૬૩થી પણ ઓછો ખર્ચ કરી રહી છે : ભારતીયો તેમની કુલ આવકના સરેરાશ ૩૦ ટકા હિસ્‍સો બહુ જરૂરી ચીજવસ્‍તુઓ પર ખર્ચ કરી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૨૯: દેશમાં મોંઘવારીને લીધે લોકોની ખર્ચશક્‍તિ ઘટી ગઈ છે. દેશની ૮૦ ટકા વસતિ દૈનિક રૂ. ૧૬૩થી પણ ઓછો ખર્ચ કરી રહી છે. ભારતીયો તેમની કુલ આવકના સરેરાશ ૩૦ ટકા હિસ્‍સો બહુ જરૂરી ચીજવસ્‍તુઓ પર ખર્ચ કરી રહ્યા છે, જેમાં ખાણીપીણીની ચીજવસ્‍તુઓ સામેલ છે. એની તુલનાએ ચીનમાં એવી ચીજવસ્‍તુઓ પર ૧૦ ટકા ખર્ચ કરવામાં આવે છે.

વાસ્‍તવમાં મોટા ભાગના ભારતીયોની આવક એટલી ઓછી છે કે જરૂરી ચીજવસ્‍તુઓ પર તેમના ખર્ચનો હિસ્‍સો મોટો નજરે ચઢે છે. દેશમાં આશરે ૧૧૬ કરોડ લોકો દૈનિક ધોરણે રૂ. ૧૬૩ કરતાં પણ વધુ ઓછો ખર્ચ કરે છે. બીજી તરફ ૨૦ લાખ લોકો એવા છે કે જે દૈનિક રૂ. ૪૦૦૦થી વધુ ખર્ચ કરે છે. તહેવારોની હાલની સીઝનમાં મોંઘી પ્રોડક્‍ટસની માગ ઓછી કિંમતવાળા માલસામાનની તુલનાએ વધુ છે, એમ પ્‍યુ રિસર્ચના ડેટા કહે છે.

કન્‍ઝ્‍યુમર ગુડ્‍સ કંપનીઓનું કહેવું છે કે આ વર્ષે તહેવારોમાં રૂ. ૧.૫ લાખથી વધુની પ્રોડક્‍ટ્‍સની નોંધપાત્ર માગ છે. બીજી બાજુ સેલ્‍સ ડેટા જણાવે છે કે રૂ. ૮૦૦૦થી ઓછી કિંમતના મોબાઇલ અને ઓછી કિંમતની બાઇકની માગ નબળી પડી છે. વિશ્‍લેષકોના જણાવ્‍યા મુજબ દેશમાં કેટલાક લોકોની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જયારે દેશની મોટા ભાગની વસતિ દૈનિક ખર્ચ પણ મુશ્‍કેલીથી કાઢી રહી છે. ગોદરેજ એન્‍ડ બોયસ કંપનીના બિઝનેસ હેડ કહે છે કે જીવનજરૂરી ચીજવસ્‍તુઓનું વેચાણ ધીમી ઝડપે વધી રહ્યું છે.

(10:25 am IST)