Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કનૈયાલાલની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

નૂપુર શર્માના સમર્થન બદલ દરજીની હત્યા થઈ : હત્યારાઓને ફાંસીની માગ કરતી મૃતકની પત્ની, ઉદયપુરના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

ઉદયપુર,તા.૨૯ : નૂપુર શર્માનું સમર્થન કરવા બદલ મોતને ઘાટ ઉતારાયેલા ઉદયપુરના દરજી કનૈયાલાલનો મૃતદેહ આજે તેમના નિવાસસ્થાને લવાયો હતો. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ પણ કરાઈ છે. અત્યારસુધીની તપાસમાં તેમની આતંકી સંગઠન સાથે સાંઠ-ગાંઠ સામે આવી છે. બીજી તરફ, આ ઘટનાથી ઉદયપુરમાં સ્થિતિ તંગ જોવા મળી રહી છે. કનૈયાલાલની અંતિમયાત્રામાં આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ, મૃતકના પત્નીએ હત્યારાને ફાંસી આપવાની માગ કરતા જણાવ્યું હતું કે આજે જે કનૈયાલાલ સાથે થયું તે કાલે કોઈ બીજા સાથે પણ થઈ શકે છે.

કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે ઉદયપુરના કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાગુ કરી દેવાયો છે, તેમજ સમગ્ર રાજસ્થાનમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે બંને આરોપીઓ સામે ઝડપથી કાયદાકીય કાર્યવાહી પૂરી કરવાનું પણ આશ્વાસન આપ્યું છે. જ્યારે ભાજપના નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડે આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ એક આતંકી ઘટના છે. તેમણે રાજ્ય સરકાર પર એક ખાસ સમુદાય પ્રત્યે કૂણું વલણ રાખવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે જો સરકાર એક્શન ના લઈ શકતી હોય તો સત્તા છોડી દે. પૂર્વ કેન્દ્રિય મંત્રીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાજ્યમાં અનેક કટ્ટરપંથી સંગઠન વિકસી રહ્યા છે, પરંતુ સરકાર તેમના પર કોઈ કાર્યવાહી નથી કરી રહી.

કનૈયાલાલની જ્યાં દુકાન હતી તેવા ભૂતમહલ માર્કેટના વેપારીઓનું માનીએ તો મૃતકને છેલ્લા કેટલાક સમયથી ધમકી મળી રહી હતી. જેની તેણે પોલીસમાં પણ જાણ કરી હતી. કનૈયાલાલને પોતાની હત્યા કરી દેવાશે તેવો ડર હતો. તે એટલો ડરેલો હતો કે તેણે કેટલાક દિવસ તો દુકાન પણ બંધ જ રાખી હતી. આખરે ત્રણ દિવસ પહેલા જ તેણે દુકાને આવવાનું શરુ કર્યું હતું તેમ એક વેપારીએ જણાવ્યું હતું. બીજી તરફ, પોલીસનું કહેવું છે કે મૃતકની પંદરેક દિવસ પહેલા ધરપકડ કરાઈ હતી, જેમાં તેને એક અઠવાડિયા પહેલા જ જામીન મળ્યા હતા.

એનઆઈએને આ કેસની તપાસ સોંપાઈ છે ત્યારે રાજસ્થાન પોલીસે પણ તેના માટે એસઆઈટીનું ગઠન કર્યું છે. સૂત્રોનું માનીએ તો, બપોરે અઢી વાગ્યે કનૈયાલાલ પર અટેક થયો ત્યારે અન્ય એક વ્યક્તિ ત્યાં હાજર હતો. તેની હાજરીમાં જ બાઈક પર બે દાઢીધારી શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જેમાંથી એકે શર્ટ સીવડાવવાની વાત કરી હતી. કનૈયાલાલ માપ લઈ રહ્યા હતા ત્યારે તેમના પર પાછળથી હુમલો કરાયો હતો, જ્યારે બીજો એક વ્યક્તિ તેનો વિડીયો લઈ રહ્યો હતો.

બીજી તરફ, મુસ્લિમ સંગઠનોએ આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીએ જણાવ્યું હતું કે દેશનો કાયદો કે પછી શરિયાના કાયદા આવા કૃત્યની પરવાનગી નથી આપતા. તેમણે કહ્યું હતું કે, નૂપુર શર્મા દ્વારા પયગંબર પર કરાયેલી ટિપ્પણી દુઃખદ છે, પરંતુ તેમ છતાંય કોઈએ પણ કાયદો પોતાના હાથમાં ના લેવો જોઈએ.

(8:06 pm IST)