Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

જાસૂસી માટે પેગાસસની ખરીદી કરી હતી : કોંગ્રેસ

યુએસ અખબારના ખુલાસા બાદ રાજકારણ ગરમાયું : જનતાની જાસૂસી માટે પેગાસસ સોફ્ટવેર ખરીદયું અને તમામને ટાર્ગેટ કર્યા,મોદી સરકાર દેશદ્રોહી છે : રાહુલ

નવી દિલ્હી, તા.૨૯ : અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં થયેલા ઘટસ્ફોટ બાદ ભર શિયાળે દિલ્હીમાં રાજકીય તાપમાનનો પારો ઉંચો ચઢી ગયો છે. જાસૂસી કરવા માટેના પેગાસસ સોફ્ટવેર માટે ૨૦૧૭માં ભારતે ડીલ કરી હોવાનો ઘટસ્ફોટ બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.કોંગ્રેસનુ કહેવુ છે કે, આ અહેવાલ પર પીએમ ઓફિસે જવાબ આપવો જોઈએ. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, શ્રીનિવાસ વી બી, શક્તિ સિંહ ગોહીલ અને કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને કહ્યુ છે કે, આ રિપોર્ટથી સાબિત થયુ છે કે, સરકારે ૩૦૦ કરોડ રુપિયામાં પેગાસસ સોફટવેરની ખરીદી પત્રકારો તેમજ નેતાઓ પર જાસૂસી કરવા માટે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં કહેવાયુ છે કે, પીએમ મોદી ૨૦૧૭માં ઈઝરાયેલના પ્રવાસે ગયા ત્યારે બે અબજ ડોલરમાં ભારતે એક સંરક્ષણ ડીલ કરી હતી અને તેમાં મિસાઈલ સિસ્ટમ સિવાય પેગાસસ સોફટવેરનો પણ સમાવેશ થયો હતો. રાહુલ ગાંધીએ આ અહેવાલ બાદ કહ્યુ છે કે, મોદી સરકારે દેશની સંસ્થાઓ રાજકારણીઓ અને જનતાની જૂસાસી કરાવ માટે પેગાસસ સોફ્ટવેર ખરીદયુ હતુ અને તમામને ટાર્ગેટ કર્યા હતા.મોદી સરકાર દેશદ્રોહી છે. યુવક કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસનુ કહેવુ છે કે, હવે સાબિત થઈ ગયુ છે કે, ચોકીદાર જ ચોર છે.જ્યારે બેકારો નોકરી માટે લાઠીઓ ખાઈ રહ્યા હતા ત્યારે ભારતના પીએમ જાસૂસી માટેનુ સોફટવેર ખરીદવામાં વ્યસ્ત હતા. યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યુ છે.૩૧ જાન્યુઆરીથી શરુ થઈ રહેલા બજેટ સત્ર પણ આ મુદ્દાને લઈને તોફાની બને તેવા એંધાણ છે.

(7:37 pm IST)