નવી દિલ્હી તા. ૨૮ : દેશની ગરીબ વસ્તીને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે મફત રાશન આપવાની યોજનાને વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજના ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી. અગાઉ, સરકારે આ યોજનાને ત્રણ મહિના માટે એટલે કે આ વર્ષના અંત સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય સરકારે કેન્દ્રીય કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં પણ ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનો લાભ પેન્શનરોને પણ મળશે. કુલ ૧ કરોડ કર્મચારીઓ - પેન્શનરોને ફાયદો થશે. હાલ ૩૪ ટકા મળે છે જે હવે ૩૮ ટકા ડીએ થશે જે ૧લી જુલાઇથી લાગુ થશે.
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રણ મહિના માટે ફ્રી રાશનની યોજનાને આગળ વધારવાથી તિજોરી પર ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે. સરકારી સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે પોતાની પાસે જમા કરાયેલા અનાજના સ્ટોકની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. હાલમાં સરકાર પાસે અનાજ મોટા પાયા પર ઉપલબ્ધ છે. પહેલા એવી ચર્ચા હતી કે કદાચ ફ્રી રાશનની યોજના હવે બંધ થઈ જશે, પરંતુ આ નિર્ણયને રાજકીય દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહ્યો છે.
આગામી ત્રણ મહિનામાં ગુજરાત અને હિમાચલમાં ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં આ યોજનાને ત્રણ મહિના સુધી લંબાવવાના નિર્ણયને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યો છે. કોરોનાના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નામે કરવામાં આવી હતી. આ અંતર્ગત દર મહિને વ્યક્તિ દીઠ ૫ કિલો મફત રાશન આપવામાં આવે છે.
દેશના લગભગ ૮૦ કરોડ ગરીબ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સમાન રાશન સબસિડી પર પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઉપલબ્ધ રાશન આનાથી અલગ છે. આ યોજના કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉનથી પ્રભાવિત લોકોની મદદ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.
દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાના વધારાને મંજૂરી આપી છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વધારાને મંજૂરી આપવામાં આવી છે. વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી.
સરકારે અગાઉ માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં ૩ ટકાનો વધારો કર્યો હતો, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી લાગુ થશે. આ વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૩૧ ટકાથી વધીને ૩૪ ટકા થઈ ગયું છે. હવે જો ૪ ટકાના વધારાને કારણે કેન્દ્રીય કર્મચારીઓનો ઝખ્ વધીને ૩૮ ટકા થઈ ગયો છે તો તેની સીધી અસર તેમના પગારમાં વધારાના સ્વરૂપમાં જોવા મળશે.
લાંબા સમય બાદ કેન્દ્ર સરકારે ગયા વર્ષે જુલાઈ ૨૦૨૧માં કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યું હતું. આ પછી, ઓક્ટોબર ૨૦૨૧ માં તેને વધારીને ૩૧ ટકા કરવામાં આવ્યો, જેમાં વધુ ૩ ટકાનો વધારો થયો.
વર્તમાન મોંઘવારીના આંકડાઓને જોતા સરકારે ડીએમાં ૪ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે, તો ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનધારકોને તેનો લાભ મળશે. સરકારી કર્મચારીઓને મળતો DA તેમના નાણાકીય સહાય પગાર માળખાનો એક ભાગ છે.
ગણતરી મુજબ, જો સરકાર કર્મચારીઓનો DA ૩૪ ટકાથી વધારીને ૩૮ ટકા કરે છે, તો પગારમાં મોટો વધારો થશે. હાલમાં, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ૧૮,૦૦૦ રૂપિયા છે, તો ૩૪ ટકાના દરે મોંઘવારી ભથ્થું ૬,૧૨૦ રૂપિયા છે. જો ચાર ટકાનો વધારો થશે તો ડીએ ૬,૮૪૦ રૂપિયા થશે.