Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

સી.એમ. ઉદ્ધવ ઠાકરે, આદિત્ય અને સંજય રાઉત સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવા બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : અરાજકતા ફેલાવવાનો અને સરકારી કામ ખોરંભે પાડવાનો આરોપ

મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે અને પાર્ટીના નેતા સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે અરાજકતા ફેલાવવા અને સરકારી કામકાજને રોકવા માટે ત્રણેય નેતાઓ સામે દેશદ્રોહનો કેસ નોંધવો જોઈએ.

આ અરજી સામાજિક કાર્યકર્તા હેમંત પાટીલ વતી દાખલ કરવામાં આવી છે. તેણે અરજીમાં માંગ કરી છે કે કોર્ટે ઠાકરે પિતા-પુત્ર અને સંજય રાઉત વતી પ્રેસ કોન્ફરન્સ પર રોક લગાવવી જોઈએ. આ સિવાય એકનાથ શિંદે જૂથના મુદ્દે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

પાટીલે પોતાની અરજીમાં કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યો ગૌહાટી ગયા છે કારણ કે તેઓ સુરક્ષાના જોખમનો સામનો કરી રહ્યા છે. રાઉત અને ઠાકરે તરફથી ધમકીઓ મળી રહી હોવાથી તેઓ પોતાનો જીવ બચાવવા ત્યાં ગયા છે. હેમંત પાટીલે પોતાની અરજીમાં કહ્યું કે શિવસેનામાં ચાલી રહેલા સંકટ વચ્ચે પાર્ટીના કાર્યકર્તાઓ રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે જેથી લોકોના મનમાં ડર પેદા થાય. આ પ્રયાસના ભાગરૂપે શિવસૈનિકો અનેક જગ્યાએ હિંસા અને તોફાનો કરી રહ્યા છે.

હેમંત પાટીલે પોતાની અરજીમાં કહ્યું કે, 'રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં માત્ર ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની ઉશ્કેરણી પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં, અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસ ચૂપચાપ બધું જોઈ રહી છે. રાજ્યમાં સ્થિતિ એવી છે કે કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. જો આવું કંઈ થશે તો ઠાકરે પિતા-પુત્ર અને સંજય રાઉત જવાબદાર રહેશે. પાટીલે પોતાની અરજીમાં કહ્યું કે કેન્દ્ર સરકારે બળવાખોર ધારાસભ્યોને વાય પ્લસ સુરક્ષા આપી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ યોગ્ય નથી અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે કેન્દ્ર સરકાર ચિંતિત છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(5:54 pm IST)