Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અસમ-મિઝોરમ સરહદ પર હિંસા, મુખ્યમંત્રી સામ-સામે

સરહદની હિંસાએ દાયકાઓ જુના વિવાદને હવા આપી : બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મામલામાં તત્કાળ હસ્તક્ષેપ કરવાની માગણી કરી

 

આઇઝોલ/હૈલાકાન્ડી , તા.૨૬ : અસમ-મિઝોરમ સરહદ પર સોમવારે હિંસા ભડકી છે. સરહદ પર ઘર્ષણ અને વાહનો પર હુમલો થવાના સમાચાર છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ટ્વીટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યાં છે. હાલના તણાવે દાયકાઓથી ચાલી રહેલા વિવાદને હવા આપી છે. તેને લઈને રાજકારણ ગરમાયું છે.

મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યુ કે, તેને તત્કાલ રોકવું જોઈએ. એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું- ચાહરના રસ્તે મિઝોરમ આવતા નિર્દોશ દંપત્તિ પર ગુંડાએ હુમલો કર્યો અને તેની ગાડીમાં તોડફોડ કરી છે. આખરે આ પ્રકારની હિંસક ઘટનાઓને તમે કઈ રીતે ન્યાયયોગ્ય ઠેરવશો.

તો અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વ સરમાએ ટ્વીટ કરી મિઝોરમના મુખ્યમંત્રીને ફરિયાદ કરી આ મામલામાં દખલની અપીલ કરી છે. તેમણે કહ્યું- આદરણીય ઝોરાથાંગાજી... કોલાસિબ (મિઝોરમ) એસપીએ અમને અમારી પોસ્ટથી ત્યાં સુધી હટવાનું કહ્યું છે જ્યાં સુધી તેના નાગરિક વાત નથી સાંભળતા અને હિંસા નથી રોકાતી. તમે જણાવો આવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે સરકાર ચલાવી શકીએ. મને આશા છે કે તમે જલદી આ મામલામાં દખલ દેશો.

અસમના મુખ્યમંત્રી સરમાને ટ્વીટ કરીને ઝોરામથાંગાએ જવાબ આપ્યો અને અસમ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું- પ્રિય હિમંતાજી માનનીય અમિત શાહજી તરફથી મુખ્યમંત્રીઓની શાંતિપૂર્ણ બેઠક બાદ આશ્ચર્યજનક રૂપથી અસમ પોલીસની બે કંપનીઓએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં અસમ પોલીસે નાગરિકો પર ટીયર ગેસના સેલ છોડ્યા. તેમણે મિઝોરમની સરહદમાં સીઆરપીએફ કર્મીઓ અને મિઝોરમ પોલીસ પર પણ હુમલો કર્યો.

આમ તો બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે. બંને રાજ્યોએ સરહદ વિવાદને કતમ કરવા માટે વર્ષ ૧૯૯૫ બાદથી ઘણી વાર્તાઓ કરી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. મિઝોરમના ત્રણ જિલ્લા આઇઝોલ, કોલાસિબ અને મમિત અને અસમના ત્રણ જિલ્લા કછાર, કરીમગંજ અને હૈલાકાન્ડી એકબીજા સાથે જોડાયેલા છે. રાજ્યોના આ જિલ્લા એકબીજા સાથે લગભગ ૧૬૪.૬ કિલોમીટરની લાંબી સરહદ શેર કરે છે. હાલનો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમિત શાહે પૂર્વોત્તરનો પ્રવાસ કર્યો હતો.

(12:00 am IST)