Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

બદલતા ભારતની બુલંદ તસ્‍વીરના દીદાર

૭૪મો ગણતંત્ર દિવસ : પાટનગર દિલ્‍હીમાં કર્તવ્‍ય પથ ઉપર દેશની સૈન્‍ય શકિત સાથે આત્‍મનિર્ભરતાની ઝલક જોવા મળી : સમગ્ર વિશ્વએ નિહાળી ભારતની લશ્‍કરી તાકાત : ‘મેડ ઇન ઇન્‍ડિયા' હથિયારોથી દુશ્‍મનો ચિંતામાં : પરેડમાં સાંસ્‍કૃતિક વારસો અને સૈન્‍ય શકિતના દર્શન : પરેડમાં મુખ્‍ય યુધ્‍ધ ટેન્‍ક અર્જુન, નાગ મિસાઇલ : સિસ્‍ટમ, આકાશ એર ડિફેન્‍સ મિસાઇલ, બ્રહ્મોસ : સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને ક્‍વિક રિએકશન : ફાઇટિંગ વ્‍હીકલનું પ્રદર્શન કરવામાં આવ્‍યું

નવી દિલ્‍હી તા. ૨૭ : ૭૪માં ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં ગઇકાલે કર્તવ્‍યપથ પર બદલતા ભારતની બુલંદ તસ્‍વીરના દીદાર વિશ્વએ નિહાળ્‍યા હતા. આ દરમિયાન દેશની સૈન્‍ય તાકાતની સાથે જ સાંસ્‍કૃતિક ધરોહરની અદ્‌ભૂત ઝલક પણ જોવા મળી હતી. રાષ્‍ટ્રપતિ મુર્મુ, પીએમ મોદી અને મહાનુભાવોએ પરેડ નિહાળી હતી. ઇજીપ્‍તના રાષ્‍ટ્રપતિ સમારોહના મુખ્‍ય અતિથિ હતા.

પ્રજાસત્તાક દિવસના અવસર પર કર્તવ્‍યપથ પર દેશની આન-બાન-શાનનો શાનદાર નજારો જોવા મળ્‍યો. રક્ષા ક્ષેત્રની તાકાતનું પ્રદર્શન કરવામાં આવ્‍યું. સમગ્ર વિશ્વએ ભારતનો સાંસ્‍કૃતિક વારસો અને સૈન્‍ય શક્‍તિની ઝલક જોઈ. પરેડમાં મુખ્‍ય યુદ્ધ ટેન્‍ક અર્જૂન, નાગ મિસાઇલ સિસ્‍ટમ, આકાશ એર ડિફેન્‍સ મિસાઈલ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને ક્‍વિક રિએક્‍શન ફાઈટિંગ વ્‍હીકલનું પ્રદર્શન કરવામાં આવ્‍યું.

MBT અર્જૂન ત્રીજી જનરેશનની બેટલ ટેન્‍ક છે. અર્જૂન ટેન્‍ક શ્રેષ્ઠ અગ્નિ શક્‍તિ, હાઈ મોબિલિટી અને ઉત્તમ સુરક્ષા સાથે અત્‍યાધુનિક ટેન્‍ક છે. તેમાં 120 mmની બંદૂક છે, જે ટેન્‍કમાં ઉપયોગમાં લેવાતા કોઈપણ કવચને પરાસ્‍ત કરી શકે છે.

આકાશ એર ડિફેન્‍સ મિસાઈલ એક અદ્યતન વેપન સિસ્‍ટમ છે. તેને DRDO દ્વારા વિકસિત કરવામાં આવી છે. આકાશ એર ડિફેન્‍સ મિસાઈલ ૩૦ કિલોમીટર દૂર અને ૧૮,૦૦૦ મીટર ઉંચાઈ સુધી ટાર્ગેટ કરી શકે છે.

બ્રહ્મ ોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને ભારત અને રશિયાએ સાથે મળીને બનાવી છે. તેને જમીન, પાણી અને હવા કોઈ પણ જગ્‍યાથી લોન્‍ચ કરવામાં આવી શકે છે. આ મિસાઈલ પણ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ છે. તેની રેન્‍જ ૩૦૦થી ૫૦૦ કિલોમીટર સુધી છે.

કે-૯ બજ્ર હોવિત્‍ઝરની મારક ક્ષમતા ખુબ જ સારી છે. ફાયર બાદ તે પોતાની જગ્‍યા તરત જ બદલી દે છે. આ કારણે જ તે દુશ્‍મનની જવાબી કાર્યવાહીથી પણ બચી શકે છે. કે-૯ વજ્રની મારકક્ષમતા ૩૮ કિલોમીટર સુધી છે. કે-૯ તોપના પ્રહારથી દુશ્‍મનનું બચવુ અસંભવ છે.

(12:41 pm IST)