Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

આગામી ૧લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧નું શિક્ષણ કાર્ય શરૂ થશે : રાજ્ય મંત્રીમંડળની વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

ધોરણ ૯ થી ૧૨ના ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે :કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે તા.8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે : રાજ્યમાં આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીથી હવે કોરોના સંક્રમણ ઘટતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ વધુ ન બગડે તે હેતુથી વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લેવાયો છે:શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા: ઉચ્ચ શિક્ષણના પ્રથમ/દ્વિતીય વર્ષના વર્ગો માટેના શૈક્ષણિક કાર્ય અંગે આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવને રિપોર્ટ મળ્યા બાદ ટૂંક સમયમાં નિર્ણય કરાશે

રાજકોટ : શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી ૧લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ ૯ અને ૧૧ના વર્ગોનું શિક્ષણકાર્ય શરૂ કરાશે અને ધો-૯ થી ૧ર પૂરતા ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરી શકાશે.

શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધો. ૯ અને ૧૧ના શાળા ના  વર્ગો તેમજ ૯ થી ૧રના ટયૂશન કલાસીસ શરૂ કરનારી શાળા-સંસ્થાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા S.O.Pનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય અંગે વધુ માહિતી આપતા શ્રી ચુડાસમાએ કહ્યું કે રાજ્યના આરોગ્ય વિભાગની અસરકારક કામગીરીના પરિણામે કોરોનાનું સંક્રમણ ઘટતું જાય છે અને કેસોની સંખ્યા પણ ઘટી રહી છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ બગડે નહીં એ માટે આ વિદ્યાર્થી હિતલક્ષી મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એમ પણ જણાવ્યું કે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોચિંગ કલાસીસ પણ રાજ્યમાં પૂન: શરૂ કરી શકાશે.આવા કોચિંગ કલાસીસ માટે પણ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે જારી કરેલી માર્ગદર્શિકા S.O.Pનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશેે.

શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં કાર્યરત સરકારી, ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં હવે તા.૧ ફેબ્રુઆરીથી ધોરણ ૯ અને ૧૧નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે અને તે જ રીતે ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ ધો. ૯ થી ૧રના વર્ગનું સંચાલન શરૂ કરી શકશે, પરંતુ રાજ્ય સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈનની જે SOP અગાઉ ધો. ૧૦ અને ૧રના તેમજ ઉચ્ચશિક્ષણમાં કોલેજના અંતિમ વર્ષના વર્ગો શરૂ કરતાં પહેલાં  તા.8મી  જાન્યુઆરી એ જાહેર કરેલી છે તે SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

શ્રી ચુડાસમાએ ઉમેર્યું કે કોલેજ કક્ષાએ ઉચ્ચશિક્ષણ માટે પ્રથમ અને બીજા વર્ષનું શૈક્ષણિક કાર્ય પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

કોલેજની હોસ્ટેલમાં covid-19 સંદર્ભે કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યા હતા આ સેન્ટરો સંપૂર્ણ ખાલી જોવા મળી રહ્યા છે. રાજ્યના આરોગ્ય સચિવ અને શિક્ષણ સચિવશ્રી દ્વારા આવા કેર સેન્ટરની સંપૂર્ણ ચકાસણી કરીને, સેનિટાઈઝેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને રહેવાલાયક છે એવી ચકાસણી કર્યા પછી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(3:54 pm IST)