Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

લોકડાઉનમાં અબજોપતિની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો

ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થાનો રિપોર્ટ : માર્ચ ૨૦૨૦ પછીના ગાળામાં દેશમાં અબજોપતિઓની સંપત્તિમાં ૧૨,૯૭,૮૨૨ કરોડ રૂપિયાનો વધારો થયો

નવી દિલ્હી, તા. ૨૫ : ગરીબી નિવારણ માટે કામ કરતી સંસ્થા ઓક્સફામ એ કહ્યું છે કે કોરોનાવાયરસ રોગચાળાને કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન કરોડો લોકોની આજીવિકાની કટોકટી ઉભી થઈ હતી. ઓક્સફેમના રિપોર્ટ 'ઈનઈક્વાલિટી વાયરસ' માં કહેવામાં આવ્યું છે કે માર્ચ ૨૦૨૦ પછીના ગાળામાં ભારતમાં ૧૦૦ અબજોપતિઓની સંપત્તિમાં ૧૨,૯૭,૮૨૨ કરોડનો વધારો થયો છે. જો આ રકમ દેશના ૧૩.૮ કરોડ ગરીબ લોકોમાં વહેંચવામાં આવે તો તે દરેકને ૯૪,૦૪૫ રૂપિયા આપી શકાય છે.

અહેવાલમાં આવકની અસમાનતાનો ઉલ્લેખ કરતા જણાવવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણીએ એક કલાકમાં જેટલી આવક થઈ, અથવા મુકેશ અંબાણીએ એક સેકન્ડમાં જે કમાણી કરી હતી તે આવક મેળવવામાં અકુશળ મજૂરને દસ હજાર વર્ષનો સમય લાગશે. અથવા મુકેશ અંબાણીએ એક સેકન્ડમાં જેટલી કમાણી કરી તેને મેળવવામાં અકુશળ મજૂરને ૩ વર્ષો સમય લાગશે. રિપોર્ટને વિસ્ આર્થિક મંચના 'દાવોસ સંવાદ' ના પહેલા દિવસે બહાર પાડવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવ્યા મુજબ, કોરોના વાયરસનો રોગચાળો એ છેલ્લાં સો વર્ષોનું સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે અને તેના કારણે ૧૯૩૦ની મહામંદી પછી સૌથી મોટું આર્થિક સંકટ આવ્યું.

ઓક્સફેમના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું કે, 'આ અહેવાલમાં પરથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે, અન્યાયપૂર્ણ આર્થિક વ્યવસ્થામાં કેવી રીતે સૌથી મોટા આર્થિક સંકટ દરમિયાન ધનિક લોકોએ ઘણી સંપત્તિ મેળવી હતી, જ્યારે બીજી તરફ કરોડો લોકો ખૂબ જ મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થયા હતા, બેહરે કહ્યું કે શરૂઆતમાં એવો ખ્યાલ હતો કે રોગચાળો દરેકને સમાનરૂપે અસર કરશે, પરંતુ લોકડાઉનમાં સમાજમાં વિષમતાઓ પ્રકાશમાં આવી.

રિપોર્ટ માટે ઓક્સફામ દ્વારા કરાયેલા એક સર્વેમાં ૭૯ દેશોના ૨૯૫ અર્થશાસ્ત્રીઓએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો, જેમાં જેફરી ડેવિડ, જયતી ઘોષ અને ગેબ્રિયલ ઝુકમેન સહિતના ૮૭ ટકા લોકોએ રોગચાળાને કારણે તેમના દેશમાં આવકની અસમાનતામાં મોટા અથવા ખૂબ મોટા વધારાનો અનુમાન લગાવ્યો. અહેવાલમાં જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શિવ નાદર, સાયરસ પૂનાવાલા, ઉદય કોટક, અઝીમ પ્રેમજી, સુનિલ મિત્તલ, રાધાકૃષ્ણ દમાણી, કુમાર મંગલમ બિરલા અને લક્ષ્મી મિત્તલ જેવા અબજોપતિઓની સંપત્તિ માર્ચ ૨૦૨૦ પછી રોગચાળા દરમ્યાન ઝડપથી વધી હતી. બીજી બાજુ એપ્રિલ ૨૦૨૦માં દર કલાકે ૧.૭ લાખ લોકો બેરોજગાર થઈ રહ્યા હતા. રિપોર્ટના ભારત-કેન્દ્રિત વિભાગમાં જણાવાયું છે કે, 'લોકડાઉન દરમિયાન ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો થયો છે. અબજોપતિઓની સંપત્તિના મામલે અમેરિકા, ચીન, જર્મની, રશિયા અને ફ્રાન્સ પછી ભારત છઠ્ઠા ક્રમે છે. રોગચાળા દરમિયાન ભારતના ૧૧ મોટા અબજોપતિઓની આવકમાં જેટલો વધારો થયો છે, તેનાથી મનરેગા અને આરોગ્ય મંત્રાલયનું વર્તમાન બજેટ એક દાયકા સુધી પ્રાપ્ત થઈ શકે છે.'

ઓક્સફેમે કહ્યું કે રોગચાળો અને લોકડાઉનથી અનૌપચારિક કામદારો પર સૌથી ખરાબ અસર પડી છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૧૨.૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી, જેમાં ૯.૨ કરોડ (૭૫ ટકા) અનૌપચારિક ક્ષેત્રના હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કટોકટીને કારણે મહિલાઓને સૌથી વધુ સહન કરવું પડ્યું હતું અને 'એપ્રિલ ૨૦૨૦ માં ૧.૭ કરોડ મહિલાઓએ રોજગારી ગુમાવી દીધી હતી. લોકડાઉન પહેલા મહિલાઓમાં બેકારીનો દર પહેલેથી જ ૧૫ ટકા હતો, જે વધીને ૧૮ ટકા થઈ ગયો છે. આ ઉપરાંત શાળા બહારના બાળકોની સંખ્યા પણ બમણી થઈ ગઈ હતી.

(12:00 am IST)