Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

હાર્દિક પંડ્યા ફિટ પણ કીવી સામે ટીમમાં સ્થાન અંગે શંકા

પાક. સામે હાર્દિક કંઈજ કર્યા વીના ઈજાગ્રસ્ત થયો : ન્યૂઝીલેન્ડ સામે ૩૧ ઓક્ટોબરની મેચમાં ટીમને બેલેન્સ કરવા માટે તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપી શકાય

દુબઈ , તા.૨૬ : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટી૨૦ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. એટલું જ નહીં આ મેચમાં હાર્દિક પંડ્યા કંઈપણ કર્યા વગર ઈજાગ્રસ્ત થયો હતો. ભારતે ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે આગામી મેચ રમવાની છે, તે પહેલા હાર્દિક પંડ્યાના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યા ૩૧ ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ માટે ફિટ છે, પરંતુ તે નક્કી નથી કે તેને પ્લેઈંગ ઈલેવનમાં લેવામાં આવશે કે કેમ? ગત મહિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં બોલિંગ ન કરનાર હાર્દિક પંડ્યા હાલમાં બેટ્સમેન તરીકે ટી૨૦ વર્લ્ડ કપમાં રમી રહ્યો છે. તેણે રવિવારે પાકિસ્તાન સામે આઠ બોલમાં ૧૧ રન બનાવ્યા હતા. તે પાકિસ્તાની ઝડપી બોલરો સામે પોતાના ફોર્મને લઈને ઝઝૂમતો જોવા મળ્યો હતો અને તે દરમિયાન શોર્ટ પિચ બોલ તેના ખભા પર વાગ્યો હતો. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'હા, હાર્દિકના સ્કેનનો રિપોર્ટ આવી ગયો છે અને ઈજા બહુ ગંભીર નથી. આ સિવાય આગામી મેચ માટે હજુ છ દિવસ બાકી છે, જેથી તેમની પાસે ઈજામાંથી બહાર આવવા માટે પૂરતો સમય હશે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, પરંતુ ટીમ પ્રેક્ટિસ સેશન દરમિયાન તબીબ હાર્દિક પર નજર રાખશે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં કહ્યું હતું કે તે નોકઆઉટ ચરણમાં બોલિંગ કરવા માંગે છે, પરંતુ ભારતે તેના માટે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં જીત હાંસલ કરવી પડશે. આ મેચમાં હાર કે જીત તેની આગળ વધવાનો રસ્તો સ્પષ્ટ કરશે. હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી બોલિંગ કરી શકતો નથી. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ કરી શક્યો  નહોતો. આવી સ્થિતિમાં ટીમને બેલેન્સ કરવા માટે તેના સ્થાને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુર બોલ અને બેટથી પોતાનું પ્રદર્શન કરવામાં માહેર છે. શાર્દુલ ઠાકુરે આઈપીએલ ૨૦૨૧માં પોતાના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ૧૬ મેચ રમી છે, જેમાં તેણે ૨૫.૦૯ની એવરેજ અને ૮.૮૦ના ઈકોનોમી રેટથી ૨૧ વિકેટ લીધી છે. તેનો શ્રેષ્ઠ બોલિંગ સ્કોર ૩/૨૮ હતો. શાર્દુલની હાજરીથી ટીમમાં નીચલો ક્રમ મજબૂત થશે. છેલ્લા ૨ વર્ષમાં શાર્દુલના પ્રદર્શનની વાત કરીએ તો તે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર હતો. તેણે ૧૪ ઇનિંગ્સમાં ૨૩ વિકેટ લીધી હતી. ભારત માટે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની શરૂઆત ભયંકર રહી હતી અને પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનના હાથે ૧૦ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે રમાયેલી ટી૨૦ વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનના હાથે ભારતને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમની પસંદગી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતની આગામી મેચ ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. જો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો પરાજય થાય છે તો તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો વધી શકે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા કોઈ ચાન્સ લેવાનું પસંદ કરશે નહીં. ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા અને પોતાનું નસીબ પોતાના હાથમાં રાખવા માટે ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. પાકિસ્તાન બાદ જો ભારતને ન્યૂઝીલેન્ડ સામે પણ હાર મળે છે તો તેના પર ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો ઉભો થઈ શકે છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની હારની સ્થિતિમાં ભારતે ટી-૨૦ વર્લ્ડ કપમાં ટકી રહેવા માટે અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામેની પોતાની આગામી ત્રણ મેચો જીતવી પડશે, સાથે જ અન્ય ટીમોની જીત અને હારના પરિણામો પર આધાર રાખવો પડશે.

 

(8:12 pm IST)