Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કાશ્મીરમાં ટેક્સી ખીણમાં ખાબકતાં નવ જણાનાં મોત

ટેક્સી શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગથી લપસીને ખાબકી : ટેક્સી કરગિલથી શ્રીનગર જઈ રહી હતી જે જોજીલાના લગભગ ૩,૪૦૦ મીટરની ઊંચાઈ પરથી નીચે ખાબકી

શ્રીનગર, તા.૨૬ : જમ્મુ કાશ્મીરના જોજીલા નજીકમાં એક ટેક્સી ઊંડી ખીણમાં ખાબકી જતા ૯ લોકોના મોત થયા છે. અધિકારીઓએ ગુરૃવારે તેની જાણકારી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે મોડી રાત્રે એક ટેક્સી શ્રીનગર-લેહ રાષ્ટ્રીય રાજમાર્ગથી લપસીને ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. જોજીલા લગભગ ૩,૪૦૦ મીટરની ઊંચાઈ પર છે. આ ટેક્સી કરગિલથી શ્રીનગર જઈ રહી હતી.

પોલીસે જણાવ્યું કે, પોલીસ, સેનાના જવાન, અને સ્થાનિક નાગરિકો દુર્ઘટનનો શિકાર બનેલા લોકોની તપાસ કરી રહ્યા છે. ઘટના વિશે હજુ વિસ્તૃત જાણકારી નથી મળી.

આ અગાઉ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક નિર્માણાધીન સુરંગનો ભાગ તૂટી પડતાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં. ગત રાત્રે અચાનક ભૂસ્ખલન થતાં નવ મજૂરો કાટમાળમાં ફસાયા ગયા હતા.

સુરંગ એક નવી શરૃ કરવામાં આવેલી પરિયોજના હતી અને માત્ર ૩થી ૪ મીટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાં જ રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે ભૂસ્ખલન થયું હતું જેમાં કામ કરતા મજૂરો ફસાય ગયા હતા. ભૂસ્ખલનમાં અનેક ટ્રક અને ખોદકામ માટે વપરાતા અન્ય વાહનોને પણ નુકશાન થયું હતું.

(7:59 pm IST)