Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

શ્રીદેવીને 'પત્ની' માની બેઠેલા વ્યકિતએ ૫૭ વર્ષની ઉંમરે પણ નથી કર્યા લગ્ન

શ્રીદેવીનું નિધન થયું હતું ત્યારે આ વ્યકિત ૫ દિવસ સુધી જમ્યો નહોતો * તેને એવી આશા છે કે આગામી જન્મમાં તે ચોક્કસપણ શ્રીદેવીને મળશે* શ્રીદેવીની યાદમાં ગામના લોકોની સાથે શ્રદ્ઘાંજલિ સભા આયોજિત કરી હતી

ભોપાલ,તા.૨૬: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીનો ફેન રહે છે. ઓમપ્રકાશ મહેરા નામનો આ ફેન એકટ્રેસ શ્રીદેવીને પોતાની પત્ની માની બેઠો છે! જયારે શ્રીદેવીનું નિધન થયું હતું ત્યારે આ વ્યકિતએ તે તમામ વિધિ કરી હતી જે એક પુરુષ તેની પત્ની માટે કરે છે.

બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીનું નિધન આજથી ૩ વર્ષ પહેલા તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ થયું હતું. ત્યારે મધ્યપ્રદેશના શ્યોપુર નામના જિલ્લામાં શ્રીદેવીનો એક એવો ફેન રહે છે જેણે તિથિ મુજબ શ્રીદેવીની યાદમાં ગામના લોકોની સાથે શ્રદ્ઘાંજલિ સભા આયોજિત કરી હતી.

બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીના ફેન એવા આ વ્યકિતની ઉંમર ૫૭ વર્ષ છે અને તેણે શ્રીદેવીને પોતાની પત્ની માનીને લગ્ન નથી કર્યા. શ્રીદેવીને મળવાની તેની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ પણ તેને એવી આશા છે કે આગામી જન્મમાં તે ચોક્કસપણ શ્રીદેવીને મળશે. આ કારણે આ ફેન એક પતિ તરીકે શ્રીદેવીની આત્માની શાંતિ માટે તેઓના નિધન બાદ તમામ વિધિ પૂર્ણ કરી ચૂકયો છે. આ ફેન હવે દરવર્ષે શ્રીદેવીની પુણ્યતિથિ મનાવે છે.

બોલિવૂડ એકટ્રેસ શ્રીદેવીના ફેન એવા ઓમપ્રકાશ નામના આ વ્યકિતએ વર્ષોથી તેના મનમાં જ શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. આ વ્યકિતએ લગ્ન નથી કર્યા. તે વર્ષ ૧૯૮૬થી શ્રીદેવીને તેની પત્ની માની બેઠો છે. તેના ઘરવાળા પણ ઘણીવખત આ બાબતે ગુસ્સે થાય છે. માત્ર આટલું જ નહીં આ વ્યકિતએ પોતાની મતદારયાદીમાં શ્રીદેવીનું નામ પત્ની તરીકે નોંધાવ્યું છે. ઓમપ્રકાશ નામનો આ વ્યકિત શ્રીદેવીનો ખૂબ મોટો ફેન છે.

જયારે વર્ષ ૨૦૧૮માં શ્રીદેવીનું નિધન થયું હતું ત્યારે આ વ્યકિત ૫ દિવસ સુધી જમ્યો નહોતો. શ્રીદેવીના અંતિમ સંસ્કાર થયા બાદ તેણે ભોજન લીધું હતું. તેણે બાદમાં મુંડન કરાવીને તે તમામ વિધિ પૂર્ણ કરી હતી જે એક પુરુષ તેની પત્નીના નિધન બાદ કરે છે. શ્રીદેવીના આ ફેનને એવો વિશ્વાસ છે કે આગામી જન્મમાં તેની મુલાકાત શ્રીદેવી સાથે થશે.

(10:15 am IST)