Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સાવકા પુત્રોએ માતાની હત્યા માટે ૧ લાખની સોપારી આપી

પત્નીની હત્યામાં જેલમાં રહેલો પતિ નિર્દોષ ઠર્યો : હત્યા બાદ કિલરને ફક્ત ૫૦ હજાર રૂપિયા મળ્યા હતા અને બાકી લેણાંની માંગ કરતી વખતે કાવતરાનો પર્દાફાશ

ફારબિસગંજ, તા.૨૫ : ફારબિસગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખૈરખાનમાં ૨૯ જૂનની રાત્રે કલ્પના દેવીની હત્યામાં જેલમાં મોકલવામાં આવેલા તેના પતિ જીતેન્દ્ર મંડળ નિર્દોષ હોવાનું જાણવા મળ્યું છે. હત્યાનું ષડયંત્ર કલ્પનાના બંને પુત્રોએ ઘડ્યું હતું, કારણ કે બંને તેના સાવકા પુત્ર છે. પુત્રોએ સાવકી માતાની હત્યા બદલ એક લાખ રૂપિયાની સોપારી પણ આપી હતી. હત્યા બાદ કિલરને ફક્ત ૫૦ હજાર રૂપિયા મળ્યા હતા અને બાકી લેણાંની માંગ કરતી વખતે ઝઘડામાં કાવતરાનો પર્દાફાશ થયો હતો.

ફારબિસગંજ એસડીપીઓ રામપુકર સિંઘના નેતૃત્વ હેઠળ પોલીસે કલ્પના દેવી હત્યા કેસને ઉકલેવા માટે વૈજ્ઞાનિક અને તકનીકી સંશોધનનો આશરો લીધો હતો. તપાસ બાદ પોલીસે પુરાવા સાથે મૃતકના સાવકા પુત્ર પ્રકાશ કુમાર, શશીભુષણ કુમાર ઉપરાંત બે સોપારી કિલર કન્હૈયા કુમાર મંડળ અને અખિલેશ મંડળની ધરપકડ કરી હતી.

ઘટનાને અંજામ આપનાર કન્હૈયા કુમાર મંડળ અમહરામાં એક નિર્માણાધીન પેટ્રોલ પંપમાં કામ કરતો હતો. જ્યારે અખિલેશ મંડળ પેઇન્ટર તરીકે કામ કરતો હતો. દરમિયાન સાવકો ભાઈ પ્રકાશ અને શશીભુષણ કન્હૈયાના સંપર્કમાં આવ્યા હતા અને બંને ભાઈઓ કન્હૈયા અને અખિલેશ સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. હત્યાને અંજામ આપવા માટે એક લાખમાં સોદો થયો હતો અને બંને ભાઈઓએ ૫૦ હજાર રૂપિયા પણ ચુકવ્યા છે.

કિલરને સોપારી આપ્યા બાદ ૨૯ જૂનની રાત્રે કલ્પના દેવીનું ગળું કાપીને હત્યા કરાઈ હતી. પછી બાકીની રકમ ૫૦ હજાર ચૂકવવાને લઈને કિલર અને બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં તપાસ કરતી પોલીસે બધાને ઝડપી લીધા હતા. જણાવી દઈએ કે, મૃતક મહિલાના  પરિજનોએ કેસ નોંધાવ્યા બાદ પોલીસે આરોપી તરીકે મૃતકના પતિ જીતેન્દ્ર મંડળની ધરપકડ કરી જેલ મોકલ્યા હતા. પરંતુ પુરાવાના અભાવે પોલીસે મામલે તપાસ ચાલુ રાખી હતી. પોલીસ તપાસની યુક્તિમાં કાવતરાખોર અને આરોપીઓ ફસાઈ ગયા હતા અને આખા કેસ પરથી પડદો ઉચકાયો હતો.

કેસમાં ફારબિસગંજ એસડીપીઓ રામપુકાર સિંહે જણાવ્યું હતું કે સંબંધીઓ વતી તુરંત કેસ નોંધાયા બાદ આરોપી પતિ જીતેન્દ્ર મંડળને પોલીસે પકડ્યો હતો અને તાત્કાલિક જેલમાં મોકલી આપ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે, જેલમાં બંધ મૃતકનો પતિ એકદમ નિર્દોષ છે. હવે પોલીસ તેમને મુક્ત કરાવશે. સાથે ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરીને તેમજ સજા મળે અપાવવા પ્રયાસ કરશે. એસડીપીઓ રામપુકાર સિંહે જણાવ્યું હતું કે હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ વીઘા જમીન સાથે બે ટ્રેક્ટર તૈયાર અનાજનું વેચાણ કરીને સાવકા પુત્રોને રૂપિયા નહીં આપવાનું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, રૂપિયા મળતા સાવકા દીકરા ગત ડિસેમ્બરથી માતાની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા.

(7:32 pm IST)