નવી દિલ્હી, તા. ૨૫ :. આવતીકાલે ગણતંત્ર દિવસે ખેડૂતો દ્વારા યોજાનારી 'મહાટ્રેકટર પરેડ'ની પુરેપુરી તૈયારીઓ થઈ ચુકી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેલીમાં અલગ અલગ રાજ્યોમાંથી ૩ લાખથી વધુ ટ્રેકટર્સ સામેલ થશે. સંયુકત કિશાન મોર્ચા દ્વારા આ માટે પ્રદર્શનકારી ખેડૂતો માટે ગાઈડલાઈન આપવામાં આવી છે.રેલીને ઐતિહાસિક વિરોધરૂપે પ્રદર્શિત કરવાના દરેક જરૂરી ઉપાયોનો અમલ થઈ રહ્યો છે.
સંયુકત કિશાન મોર્ચા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ગણતંત્ર દિવસ ઉપર ભારતમાં જ નહી વિશ્વમાં પહેલી આવી પરેડ યોજાઈ રહી છે. આ રેલીના માધ્યમથી ખેડૂતો પોતાના દુઃખ-દર્દો ઙ્ગસમગ્ર દુનિયાને દેખાડશે અને નવા ખેડૂત કાયદાની સચ્ચાઈ પ્રદર્શિત કરશે. મોર્ચાએ કહ્યું છે કે ટ્રેકટર પરેડ શાંતિપૂર્ણ હશે. આ રીતનું પ્રદર્શન જ ખેડૂતોની જીત હશે. એ પણ યાદ દેવડાવી દઈએ કે ખેડૂતો દિલ્હી જીતવા નથી જઈ રહ્યા. દેશની જનતાનું દિલ જીતવા જઈ રહ્યા છીએ. તેમ છતાં કોઈને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો કિસાન સંગઠનના નેતાઓ સંપર્ક માટે હેલ્પલાઈન નંબર ૭૪૨૮૩૮૪૨૩૦ ઉપર કોલ કરવા ખેડૂત મોર્ચાએ જણાવ્યુ છે.
રેલી પૂર્વેની તૈયારી
પરેડમાં ટ્રેકટર અને બીજા વાહનો હશે, પરંતુ ટ્રોલી નહી હોય. ટ્રોલીઓ ઉપર વિશેષ પ્રદર્શન ઝાંખી તૈયાર કરવામાં આવી છે. આવી ટ્રોલીને પ્રદર્શનમાં સામેલ થવા છૂટ અપાઈ શકે છે.
ખેડૂતો પોતાની સાથે ૨૪ કલાકનું રાશન-પાણી રાખવા અને ટ્રાફીકજામના સંજોગોમાં ઠંડીથી બચવાની તૈયારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
રેલીમાં સામેલ ટ્રેકટર અને વાહનો ઉપર ખેડૂત સંગઠનોના ઝંડા સાથે રાષ્ટ્રીય ધ્વજ લગાવવા અને કોઈપણ રાજકીય પક્ષના પત્રીકા કે ઝંડા નહી લગાવવા કડક સૂચના આપવામાં આવી છે.
ખેડૂતોને પોતાની સાથે કોઈ હથીયાર, લાકડી કે ભડકાઉ બેનર પ્રદર્શિત કરવાની મનાઈ ફરમાવાઈ છે.
પરેડમાં જોડાવા માટે ૮૪૪૮૩૮૫૫૫૬ મિસ્ડ કોલ કરવા જણાવાયુ છે.
ખેડૂતોને સૂચના
પરેડની શરૂઆત કિશાન નેતાઓની ગાડીથી થશે. આ પહેલા કોઈ ટ્રેકટર કે ગાડી રવાના નહી થાય. લીલા રંગના જેકેટ પહેરેલા ટ્રાફીક વોલિયન્ટર્સની દરેક સૂચનાનું પાલન કરવા પરેડમાં જોડાઈ રહેલા ખેડૂતોને કહેવામાં આવ્યુ છે.
પરેડનો રૂટ નક્કી થઈ ચૂકયો છે. આખા રૂટ ઉપર સુચના બોર્ડ લગાવાયા હશે. જે વાહન રૂટ બહાર નિકળવાની કોશિષ કરશે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ વાહન વિના કારણે રસ્તા પર રોકાશે કે ડેરા જમાવવા કોશિષ કરશે તેને સ્વયંસેવકો હટાવશે. પરેડ પછી તમામ વાહનો શરૂઆત થઈ હતી તે સ્થળ ઉપર પહોંચશે.
એક ટ્રેકટર ઉપર ચાલક સહિત પાંચ લોકોને જ સવાર થવા અનેક બમ્પર, બોનેટ કે છાપરા પર કોઈ પણને બેસવા મનાઈ કરવામાં આવી છે.
બધા ટ્રેકટરો લાઈનબદ્ધ શિસ્તમાં ચાલશે. કોઈ રેસ નહી લગાવે.
ટ્રેકટરમાં પોતાના ઓડીયો કે કેસેટસ વગાડવા પણ મનાઈ કરવામાં આવી છે.
કોઈપણ પ્રકારનો નશો કરવાની મનાઈ કરવામાં આવી છે. આવા કોઈ કિસ્સા સામે આવશે તો તેની જાણ ટ્રાફિક સ્વયંસેવકોને કરવામાં આવશે.
મહિલાઓ સાથે સંપૂર્ણ વિનમ્રતાથી વર્તન કરાશે. પોલીસનો સિપાહી પણ ડ્રેસ પહેરેલો ખેડૂત જ છે તેની સમજ તમામ પ્રદર્શનકારીઓને આપવામાં આવી છે.
ઈમરજન્સીમાં સાવચેતીના સૂચનો
કિશાન મોર્ચા દ્વારા કોઈપણ અફવાઓ ઉપર ધ્યાન નહી આપવા અને કોઈપણ વાતની તપાસ કરવી હોય તો સંયુકત કિસાન મોર્ચાના ફેઈસબુક પરથી મેળવવી.
પરેડમાં જગ્યાએ જગ્યાએ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. હોસ્પીટલની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. મેડિકલ હેલ્પલાઈન માટે નંબરો ઉપર કોઈપણ ઈમરજન્સી વખતે જાણ કરવા સૂચના અપાઈ છે.
ટ્રેકટર કે વાહન ખરાબ થાય તો બિલકુલ સાઈડમાં પાર્ક કરવા અને સ્વયંસેવકને જાણ કરવી.
પરેડ માટે સંયુકત કિસાન મોર્ચાનો હેલ્પલાઈન નંબર ૨૪ કલાક ચાલુ રહેશે.
કોઈપણ ઘટનાની સૂચના પોલીસ કંટ્રોલ રૂમને ૧૧૨ નંબર ઉપર આપી શકાશે.