Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

AIMIA સભ્યનો શપથમાં હિંદુસ્તાન બોલવાનો ઈન્કાર

બિહાર વિધાનસભામાં નવા સભ્યોના શપથમાં વિવાદ : સંવિધાનમાં ભારત શબ્દનો ઉલ્લેખ છે, તો હિન્દુસ્તાનની જગ્યાએ ભારત બોલવામાં શું સમસ્યા? તેવો સવાલ કર્યો

પટણા, તા. ૨૩ : બિહાર વિધાનસભામાં નવા ધારાસભ્યોના શપથ દરમિયાન ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી ઇનકાર કરી દીધો. તેમનું કહેવું હતુ કે હિન્દી, અંગ્રેજી, મૈથિલી, સંસ્કૃત વર્તમાન શપથ પત્રમાં ભારત શબ્દ લખ્યો છે, તો ઉર્દુમાં હિન્દુસ્તાન કેમ લખવામાં આવ્યું છે. અક્તરૂલ ઇમાનના વાંધા બાદ પ્રોટેમ સ્પીકર જીતન રામ માંઝીએ તેમને ભારત શબ્દ બોલીને જ શપથ લેવાની પરવાનગી આપી દીધી. આ મુદ્દાને એઆઈએમઆઈએમના ધારાસભ્યએ ઉઠાવ્યો હતો માટે બીજેપીએ આને તરત જ ઝડપી લીધો. બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ તાત્કાલિક સલાહ આપી દીધી કે જે લોકોને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી વાંધો છે તેઓ તાત્કાલિક પાકિસ્તાન જતા રહે. જોકે જેડીયૂ ધારાસભ્ય મદન સહનીએ ફક્ત ચર્ચામાં રહેવા માટે ઉઠાવવામાં આવેલી વાત ગણાવી. તેણે કહ્યું કે, હિન્દુસ્તાન શબ્દની સાથે જ શપથ લેવામાં આવી હોત તો યોગ્ય રહ્યું હતુ. મામલો ઊંચકાતા એઆઈએમઆઈએમ ધારાસભ્ય અખ્તરૂલ ઈમાને કહ્યું કે, આપણા દેશના સંવિધાનમાં ભારત શબ્દનો ઉલ્લેખ છે,

તો હિન્દુસ્તાનની જગ્યાએ ભારત બોલવામાં શું સમસ્યા છે? જે લોકો આ શબ્દને લઇને હવા આપી રહ્યા છે તેઓ ગુલનાઝના કેસને દબાવવા ઇચ્છે છે. ઉલ્લેખનીય છે કે વૈશાલીમાં છેડતીનો વિરોધ કરવા પર ૨૦ વર્ષની એક યુવતીને ગામના જ દબંગોએ જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાના વિરોધમાં કૉંગ્રેસે વિધાનસભાના પહેલા જ દિવસે હાથોમાં બેનર લઇને પ્રદર્શન કર્યું.

આ તમામ રાજકીય નિવેદનબાજી વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે આખરે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ બિહારમાં હિન્દુસ્તાન શબ્દથી વાંધો કેમ ઉઠાવી રહી છે? આ શબ્દ દ્વારા ઓવૈસી બિહારમાં કઈ રાજનીતિ રમવાની તૈયારીમાં છે? જોકે આ સમગ્ર મામલે હજુ સુધી ઓવૈસીનું નિવેદન નથી આવ્યું.

(12:00 am IST)