Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

આતંકીઓ સાથે સબંધમાં કાશ્મીરના છ કર્મી સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીર સરકારનું આતંક વિરોધી કડક કાર્યવાહી : ૬ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરાયા છે તેમાં અનંતનાગના અધ્યાપક હમીદ વાની સામેલ છે

શ્રીનગર, તા.૨૨ : જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંક પર વધુ એક પ્રહાર કરતા ભારતના બંધારણના કલમ ૩૧૧ (૨) (સી) હેઠળ કેસની તપાસ અને ભલામણ કરવા માટે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં નામિત સમિતિએ આતંકવાદી લિંક રાખવા અને ઓજીડબલ્યુ તરીકે કામ કરવા માટે સરકારી સેવા સાથે ૬ કર્મચારીઓને બરતરફ કરવાની ભલામણ કરી. જે ૬ સરકારી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી છે તેમાં કાશ્મીર ખીણના અનંતનાગના અધ્યાપક હમીદ વાની સામેલ છે. વાની પર આરોપ છે કે નોકરીમાં આવ્યા પહેલા તેઓ આતંકી સંગઠન અલ્લાહ ટાઈગરના જિલ્લા કમાન્ડર તરીકે કામ કરી રહ્યા હતા.

            આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના સહયોગથી તેમને આ સરકારી નોકરી મળી હતી. વાની પર એ પણ આરોપ છે કે ૨૦૧૬માં બુરહાન વાનીના એક્નાઉન્ટર બાદ તેઓ દેશ વિરોધી ગતિવિધિઓ માટે કાશ્મીરમાં ચલાવાઈ રહેલા ચલો કાર્યક્રમના મુખ્ય વક્તાઓમાંના એક હતા. આ સાથે જ જમ્મુના કિશ્તવાડ જિલ્લાના જફર હુસૈન ભટ્ટને પણ સરકારી નોકરીમાંથી બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે.  જફર હુસૈન જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે અને તેને એનઆઈએએ આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ પણ કરી હતી. તેઓ હાલ જામીન પર છુટ્યા છે. તેની પર આરોપ છે કે તેઓ પોતાની કાર હિઝ્બુલ મુઝાહિદ્દીનના આતંકીઓને લાવવા અને લઈ જવા માટે વ્યવસ્થા કરાવતા હતા. આ સાથે જ મોહમ્મદ રફી, જે કિશ્તવાડના રહેવાસી છે અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ તરીકે જુનિયર આસિસટન્ટ તૈનાત છે, બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. મોહમ્મદ રફી ભટ્ટ પર આરોપ છે કે કિશ્તવાડ જિલ્લામાં હિઝ્બુલ મુઝાહિદ્દીનના આતંકીઓને પોતાના આતંકી મનસૂબાને અંજામ સુધી પહોંચાડવા માટે જગ્યા આપતો હતો. તેની પર એનઆઈએએ પહેલા જ ચાર્જશીટ દાખલ કરી છે અને ધરપકડ પણ કરી હતી. હાલ તેઓ જામીન પર છૂટ્યા છે.

(12:00 am IST)