Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

તબીબોની બેદરકારીઃ સીઝેરિયન વખતે મહિલાના પેટમાં કપડું રહી ગયું

મહિલા વેન્ટિલેટર પર : મેડિકલ કોલેજે ત્રણ સભ્યની તપાસ સમિતિ બનાવી

શાહજહાનપુર,તા.૨૩:  ઉત્ત્।રપ્રદેશના શાહજહાનપુરની સરકારી મેડિકલ કોલેજના ડોકટર્સ પર ગર્ભવતી મહિલાના જાન્યુઆરીમાં કરાયેલા સિઝેરિયનના ઓપરેશન વખતે પેટમાં કપડું રહી ગયા હોવાનો આરોપ મુકાયો છે. કિંગ જયોર્જ મેડિકલ કોલેજમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરાયેલી મહિલા વેન્ટિલેટર ઉપર હોવાનું કહેવાય છે.

આ મુદ્દે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ત્રણ સભ્યની પૂછપરછ ટીમ બનાવી છે. તેને વહેલી તકે અહેવાલ સુપરત કરવાનું જણાવાશે. તિહાર પોલિસ સ્ટેશન હેઠળ આવતા રામાપુર ઉત્ત્।રના નિવાસી મનોજે ફરિયાદ કરી હતી કે, તેની પત્ની નીલમે ૬ જાન્યુઆરીના રોજ બાળકીને જન્મ આપ્યો હતો અને તેના ઓપરેશન વખતે પેટમાં કપડું રહી ગયું હતું એવી માહિતી કોલેજના પ્રિન્સિપાલ રાજેશ કુમારે બુધવારે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ મળતાની સાથે તેમણે ત્રણ સભ્યની સમિતિ બનાવી હતી. જેમાં ડો. અર્ચના, ડો. વિભોર કુમાર અને નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ સંદેશ કુમારનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, અહેવાલના આધારે દોષિતો પર પગલાં લેવાશે.

મહિલાના પતિએ પત્રકારોને જણાવ્યું હતું કે, પુત્રીના જન્મ પછી તેની પત્ની પેટમાં દુખાવાની ફરિયાદ કરતી હતી. ખાનગી ડોકટર્સની સારવાર પછી પણ કોઈ રાહત નહીં જણાતા પતિએ મહિલાને શાહજહાનપુરની ખાનગી મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી. જયાં તેનો સીટી સ્કેન કરાયો હતો અને તેમાં પેટમાં કપડું રહી ગયું હોવાનું જણાયું હતું. ઓપરેશનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યાર પછી મહિલાની તબિયતમાં સુધારો નહીં થતા તેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાઈ હતી. મહિલાના પિતા રાધેશ્યામે તેમની દીકરીની સ્થિતિ નાજુક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, તેમની દીકરીને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે.

(10:41 am IST)