Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

આનંદો : દેશની પ્રથમ સ્વદેશી રસીએ WHOના માપદંડને પાર કર્યો : ભારત બાયોટેકનો દાવો

જરૂરી મંજૂરીઓ મળ્યા પછી રસી 2021નાબીજા ક્વાર્ટરમાં લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ ભારતની પ્રથમ સ્વદેશી કોવિડ-19 રસી કોવેક્સિન ઓછામાંઓછી 60 ટકા અસરકારક હશે, તેમ ભારત બાયોટેકે ટ્રાયલ ડેટાના આધારે જણાવ્યું હતું.ભારત બાયોટેકના ક્વોલિટી ઓપરેશન્સના પ્રેસિડન્ટ સાઇ ડી પ્રસાદે જણાવ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ), યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) અને ભારતના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)ના માપદંડ મુજબ આ રસી કમસેકમ 50 ટકા અસરકારક હોવી જોઈએ.

કંપનીએ જણાવ્યું હતું કે હવે 60 ટકાની અસરકારકતા સાથે તેણે લઘુત્તમ માપદંડને પાર કરી લીધો છે અને હવે તે અસરકારકતાનો દર વધુ ઊંચે લઈ જવા માંગે છે. અમારા ટ્રાયલ્સના પરિણામો મુજબ આ રસી હવે 50 ટકાથી ઓછી અસરકારક રહે તેવી સંભાવના ઓછી છે.

 

કોવિડ-19 વેક્સિન્સના ટાર્ગેટ પ્રોડક્ટ પ્રોફાઇલમાંહુનું સૂચન હતું કે કોઈપણ રસીની અસરકારકતા ઓછામાં ઓછી 50 ટકા જેટલી તો હોવી જોઈએ તો જ તે સ્વીકાર્ય બને. તેની આ અસરકારરકતાની સમીક્ષા રોગ, ગંભીર રોગ અને લક્ષણો બધી રીતે કરવામાં આવી શકે છે.હવે રસીએ 50 ટકાનો લઘુત્તમ માપદંડ પાર કરી લીધો છે તો દેશમાં હવે આશા છે કે રોગચાળાને કાબૂમાં લાવવામાં સફળતા મળશે.

ભારત બાયોટેકે જણાવ્યું હતું કે જરૂરી મંજૂરીઓ મળ્યા પછી રસી 2021ના મધ્યાંતરમા લાવવાનું ધ્યેય છે. કંપનીએ જણાવ્યું હતું કે જો અમને પ્રયોગાત્મક પુરાવા અને આંકડા, અસરકારકતા અને અમારા છેલ્લા ટ્રાયલ્સના સલામતીના આંકડાના આધારે આધારે જરૂરી મંજૂરીઓ મળી જાય તો અમે 2021ના બીજા ક્વાર્ટરમાં રસી લોન્ચ કરવાનું ધ્યેય ધરાવીએ છીએ.

 

ભારત બાયોટેકે આ મહિને અગાઉ ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ શરૂ કર્યા પછી કોવિડ-19ની ભારતની સૌપ્રથમ રસીનું ઉત્પાદન કર્યુ છે. આ ટ્રાયલ્સમાં ભારતના 25 કેન્દ્રોમાં 26,000થી વધારે સ્વયંસેવકો ભાગ લેવાના છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ભાગીદારીમાં આ ટ્રાયલ્સ કરવામાં આવનાર છે. ભારતમાં કોરોના વાઇરસની રસી માટેનું આ સૌથી મોટામાં મોટું ક્લિનિકલ ટ્રાયલ છે.

જો કે તેમની આ જાહેરાતના પગલે ઘણાના ભવા વંકાયા છે. એઆઇડીએએના સંયોજક માલિની આઇસોલાએ જણાવ્યું હતું કે પહેલા અને બીજા તબક્કાના પરિણામો હજી સુધી શેર કરવામાં આવ્યા નથી. બંને તબક્કાની વિગતો અને હાલમાં ચાલી રહેલા ત્રીજા તબક્કાની વિગતો જાહેર કરાઈ નથી.

પરંતુ કેન્દ્રના રસી પરના નિષ્ણાત જૂથના સભ્ય ડો. વીકે પૌલે જણાવ્યું હતું કે ત્રીજા તબક્કાના ટ્રાયલ્સ પૂરા થયા પછી બધા ટ્રાયલ્સની વિગતો એકસાથે મૂકાશે. ડેટામાં એવુ કશું નથી જે જાહેરમાં ન મૂકી શકાય

(7:52 pm IST)