Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

કેનેડાની ખાનગી યુનિવર્સિટીઓની અર્થવ્‍યવસ્‍થા ભારતીય વિદ્યાર્થીઓ આધારીત

ટ્રુડોને શીંગડા ભરાવવા પરવડે તેમ નથી : ગત વર્ષે પ.પ લાખ વિદેશી વિદ્યાર્થીઓમાંથી ર.ર૬ લાખ ભારતનાઃ સ્‍થાનીક કરતા ભારતીય છાત્રો ત્રણ થી પાંચ ગણી ફી ચુકવે છે

નવી દિલ્‍હી, તા. રર : ભારત-કેનેડા વચ્‍ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્‍યો છે. ખાલિસ્‍તાની નેતાની હત્‍યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્‍યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. ખાલિસ્‍તાનને સમર્થન આપવા બદલ વડાપ્રધાન જસ્‍ટિન ટ્રુડોની ભારે ટીકા થઈ રહી છે. આ વચ્‍ચે કેનેડામાં અભ્‍યાસ કરવા ગયેલા ભારતીય વિદ્યાર્થી અને તેમના માતા-પિતામાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ બધી બાબતોની વચ્‍ચે ભારતના હાથમાં કેનેડાની એ દૂખતી નસ છે, જેના પર ઈજા તેના માટે મોટી સમસ્‍યાઓ ઊભી કરી દેશે. કેનેડાની ઈકોનોમી આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે, આ કેનેડાની સૌથી મોટી નબળાઈ છે. આ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓમાં પણ સૌથી મોટી સંખ્‍યા ભારતીય વિદ્યાર્થીઓની છે, જેઓ ત્‍યાંની ખાનગી યુનિવર્સિટીઓને તગડી ફી ચૂકવીને મોટી આર્થિક મદદ કરી રહ્યા છે.

વાસ્‍તવમાં ભારતને પણ ખ્‍યાલ છે કે તે કેનેડાના મામલામાં મજબૂત મોટા પગલાં ભરવાની સ્‍થિતિમાં છે. જો ભારત આ મામલે નિર્ણય લેશે તો કેનેડાના શ્વાસ અધ્‍ધર થઈ જશે. જો બંને દેશો વચ્‍ચેના સંબંધો વધારે ખરાબ થશે તો ભારત વિદ્યાર્થીઓના કેનેડા જવા પર પ્રતિબંધ લગાવી શકે છે. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, જો આવું થાય તો કેનેડાની એવી ખાનગી યુનિવર્સિટીઓ કે જેમને સરકાર તરફથી મદદ નથી, તેના પાટીયા પડી શકે છે. નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, દર વર્ષે આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડિયન અર્થતંત્રમાં ૩૦ બિલિયન ડોલરનું યોગદાન આપે છે. જો ભારત પોતાના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાદશે તો આ સેક્‍ટર માટે આ એક મોટો ફટકો હશે. એટલું જ નહીં અહીં વિવિધ વિસ્‍તારોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ રૂમના ભાડાના રૂપમાં ઘણું યોગદાન આપે છે.

કેનેડાના ઓડિટર-જનરલ બોની લિસિક પૈસાના સંદર્ભમાં આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓ પર નિર્ભરતાના જોખમોને ગણાવી ચૂકયા છે. ૨૦૨૧ના રિપોર્ટમાં તેમણે કહ્યું કે, આ સરકારના નિયંત્રણની બહાર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જો કેટલાક દેશોના વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશવામાં અસમર્થ થાય છે તો આવકમાં અચાનક અને મોટા પાયે નુકસાન થઈ શકે છે. આવી સ્‍થિતિમાં કલ્‍પના કરી શકાય છે કે જે દેશમાં ૪૦ ટકા વિદ્યાર્થીઓ છે તે તેના વિદ્યાર્થીઓને રોકે તો શું થશે. કેનેડા સરકારના આંકડા અનુસાર ૨૦૨૨માં કેનેડામાં ૫.૫ લાખ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૨.૨૬ લાખ ભારતના હતા. અને ૩.૨ લાખ ભારતીયો કેનેડામાં સ્‍ટુડન્‍ટ વિઝા પર રહેતા હતા અને તેની અર્થવ્‍યવસ્‍થાને મદદ કરી રહ્યા હતા.

તાજેતરમાં જ કેટલાક આંતરરાષ્‍ટ્રીય આર્ટિકલ્‍સમાં પણ આ બાબતે ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. જેમાં લખ્‍યું હતું કે ભારત અને કેનેડા વચ્‍ચે વધતા તણાવને કારણે ત્‍યાં અભ્‍યાસ માટે જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ઘટાડો થઈ શકે છે. કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ અહીં આવતા કુલ આઠ લાખ આંતરરાષ્‍ટ્રીય વિદ્યાર્થીઓમાંથી ૪૦ ટકા ભારતીયો છે.  કેનેડિયન વિદ્યાર્થીઓ જેટલી ફી ચૂકવે છે, તેના કરતાં ભારતીય વિદ્યાર્થીઓ ત્રણથી પાંચ ગણી વધુ ફી ચૂકવે છે. જો જોવામાં આવે તો કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓની ઇકોસિસ્‍ટમ સંપૂર્ણપણે ભારતીય વિદ્યાર્થીઓ પર નિર્ભર છે. જો ભારત તેના વિદ્યાર્થીઓને કેનેડા જવા પર પ્રતિબંધ મૂકશે તો તે સંપૂર્ણપણે તૂટી જશે.

ઉલ્લેખનીય છે કે, અત્‍યારે કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતાનો માહોલ છે. આ ઉપરાંત ત્‍યાં રહેતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનો માહોલ છે. જોકે, આ વિદ્યાર્થીઓ ભારતના પગલા સાથે સંપૂર્ણ રીતે સંમત છે. એક રિપોર્ટ અનુસાર, બ્રેમ્‍પટનમાં રહેતા એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થી સમુદાયમાં ખાલિસ્‍તાની ધમકીઓ અને તેના પર ટ્રુડોના વલણની જ ચર્ચા છે.

(4:19 pm IST)