Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કોંગ્રેસ એક કલ્ચર... હું ઇચ્છું છું કે કોંગ્રેસ પણ 'કોંગ્રેસમુકત' બને

માત્ર પાકિસ્તાન પર જ આધારિત નથી ભારતની વિદેશનીતિઃ ટાઇમ્સ નાઉને મુલાકાત આપતા વડાપ્રધાનઃ ત્રણ તલાક પીડિતાઓની આપવીતી જે મીડિયામાં આવી, તે આંખોમાં આંસુ લાવનારી હતીઃ શું કોંગ્રેસ આ વિચલિત કરી દેનારી કહાણીઓથી પીગળતી નથી? જો કોંગ્રેસ સમજી શકતી ન હોય તો મનમાં પીડા થાય છે એ રાજકારણ કેટલું નીચે જતું રહ્યું છે

નવી દિલ્હી તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ ચેનલ 'ટાઇમ્સ નાઉ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે અને આજના રાજકારણમાં આવેલી ખરાબ બાબતો માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. વડાપ્રધાનને જયારે તેમણે આપેલા સૂત્ર 'કોંગ્રેસમુકત ભારત'વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેમણે જયારે આ સૂત્ર આપ્યું હતું ત્યારે તેમનો આશય કોઈ પાર્ટી કે સંગઠન વિશેષ નહોતો, પરંતુ એક કલ્ચર સાથે હતો, જેમાં જાતિવાદ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, સત્ત્।ા પચાવવા જેવી ખરાબ બાબતો સામેલ છે. તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે કોંગ્રેસ પણ 'કોંગ્રેસમુકત'થાય. ૭૯ મિનિટના ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાને 'ટાઇમ્સ નાઉ'ના તમામ સવાલોના જવાબ આપ્યા.

 

કોંગ્રેસ આજે માત્ર ચાર રાજયોમાં સમેટાઈને રહી ગઈ છે તો શું કોંગ્રેસમુકત ભારતનું તેમનું સપનું સાકાર થઈ રહ્યું છે? આ સવાલના જવાબમાં વડાપ્રધાને કહ્યું કે, 'મારું સૂત્ર ચાલી પડ્યું છે, પણ હું મારી ભાવનાઓ પહોંચાડી શકયો નથી. આપણા દેશના રાજકારણની મુખ્ય ધારા કોંગ્રેસ રહી છે, તેથી તમામ પક્ષોમાં કલ્ચર કોંગ્રેસનું જ રહ્યું છે. જયારે હું કોંગ્રેસમુકત કહું છું તો તે કોઈ પાર્ટી કે સંગઠન માટે નથી. કોંગ્રેસ એક કલ્ચરના સ્વરૂપમાં દેશમાં ફેલાઈ છે. આઝાદી બાદ કોંગ્રેસના કલ્ચરનું જે રૂપ સામે આવ્યું હતું તે ઓછી-વધુ માત્રામાં તમામ પક્ષોને ખાવા લાગ્યું. જાતિવાદ, પરિવારવાદ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, સત્ત્।ા દબોચીને રાખવી આ કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે. કોંગ્રેસના લોકો પણ કહે છે કે, કોંગ્રેસ એક વિચારધારા છે. હું આ વિચારધારાની ચર્ચા કરું છું, તેથી જયારે હું કોંગ્રેસમુકત કહું છું તો હું પોતે ઇચ્છું છું કે, કોંગ્રેસ પણ ખુદને કોંગ્રેસમુકત કરી દે. આ કલ્ચરથી પોતાને મુકત કરે. આ અર્થમાં હું કોંગ્રેસમુકત ભારતની વાત કરું છું. હું આ બીમારીઓથી મુકિતના પક્ષમાં છું, જે ત્યાંથી શરૂ થઈ છે અને તમામ પાર્ટીઓ તેનાથી ગ્રસ્ત છે. કોંગ્રેસને પણ કોંગ્રેસ મુકત થવાની વાત હું કરી રહ્યું છું.'

 

વડાપ્રધાન મોદીએ ત્રણ તલાક વિરોધી બિલ પર કોંગ્રેસના વલણ અંગે કહ્યું કે, તેમને આનાથી પીડા થઈ રહી છે. શાહ બાનો મામલે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંસદ દ્વારા પલટાવવા તરફ ઇશારો કરતા વડાપ્રધાને કહ્યું કે, 'હું એવું માનતો હતો કે કોંગ્રેસ રાજીવ ગાંધીના સમયની ભૂલમાંથી શીખશે. ત્રણ તલાક પીડિતાઓની આપવીતી જે મીડિયામાં આવી, તે આંખોમાં આંસુ લાવનારી હતી. શું કોંગ્રેસ આ વિચલિત કરી દેનારી કહાણીઓથી પીગળતી નથી? જો કોંગ્રેસ સમજી શકતી ન હોય તો મનમાં પીડા થાય છે કે રાજકારણ કેટલું નીચે જતું રહ્યું છે. શું સત્ત્।ાની એવી ભૂખ હોવી જોઈએ કે માતાઓ-બહેનોને કષ્ટમાં જોતા રહીએ, પણ તોય પોતાની રાજનીતિ કરતા રહીએ.. તેમને કદાચ અંદરથી પીડા થતી હશે, પરંતુ રાજકારણને કારણે સામે લાવતા નથી.'

વડાપ્રધાનને જયારે પૂછવામાં આવ્યું કે, આલોચકો કહી રહ્યા છે કે, ત્રણ તલાક વિરોધી બિલ દ્વારા સમાન નાગરિક સંહિતાના માર્ગને મોકળો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, તો વડાપ્રધાને કહ્યું કે, 'તેઓ અત્યારે શું કરી રહ્યા છે, બસ તે જોવું જોઈએ.'

કેટલાક લોકો વિદેશમાં જઈને છબિ ખરાબ કરવા જેવી વાતો કરે છે, તેમના વિશે તમે શું વિચારો છો? આ સવાલના જવાબમાં વડાપ્રધાને કહ્યું કે, તેનાથી બોલનારાની ઓળખ છતી થાય છે, દેશની નહિ. તેમણે કહ્યું કે, દેશને નક્કી કરવા દો કે બહાર જઈને આ પ્રકારનું બોલનારા લોકોની ઓળખ હોય છે કે આ દેશની. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, 'કદાચ જે લોકો વિદેશમાં રહે છે, તેમને ખબર છે, આજે ભારતના પાસપોર્ટની જે ઇજ્જત અને તાકાત છે, કદાચ પહેલાં તેમાં એટલી તાકાતની અનુભૂતિ નહોતી થતી.'

(1:33 am IST)