Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પીએમ કિસાન સન્‍માન નિધીમાં દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્‍શન આપવાની કેન્‍દ્ર સરકારની યોજનાઃ ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 40 વર્ષ સુધી માસિક ફાળો જમા કરાવવો પડશે

આ માટે 2 હેક્‍ટર સુધી ખેતી યોગ્‍ય જમીન હોવી જરૂરી

નવી દિલ્હી: પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવનારા ખેડૂતો માટે ખુશખબર છે. આ યોજના હેઠળ હવે તમને દર મહિને 3000 રૂપિયા મળી શકે છે. આ માટે તમારે કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે. આવો જાણીએ આ યોજના વિશે...

હવે તમે મેળવી શકો છો 36000  રૂપિયા

પીએમ કિસાન માનધન યોજના હેઠળ  ખેડૂતોને દર મહિને પેન્શન અપાય છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયા એટલે કે વર્ષે 36000 રૂપિયા ખેડૂતોને પેન્શન અપાય છે. મોદી સરકાર આ રકમ ખેડૂતોને આર્થિક મદદ માટે આપે છે.

જરૂરી દસ્તાવેજો

કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જેમાં આધારકાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ્સ વગેરે... પરંતુ જો તમે પીએમ કિસાન સન્માન નિધિનો ફાયદો લઈ રહ્યા છો તો આ માટે તમારે કોઈ પણ વધારાના દસ્તાવેજ જમા કરાવવાની જરૂર નથી.

આ યોજનાનો ફાયદો કેવી રીતે મળશે?

1. આ યોજનાનો લાભ 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે.

2. આ માટે વધુમાં વધુ 2 હેક્ટર સુધી ખેતી યોગ્ય જમીન હોવી જોઈએ.

3. ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી માસિક ફાળો આપવાનો રહેશે. જે ખેડૂતની ઉંમર પર નિર્ભર છે.

4. 18 વર્ષની ઉમરમાં જોડાનારા ખેડૂતોએ માસિક 55 રૂપિયા ફાળો આપવાનો રહે છે.

5. જો 30 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાઓ તો 110 રૂપિયા જમા કરાવવાના રહે છે.

6. તમે 40 વર્ષની ઉંમરે આ યોજના સાથે જોડાઓ તો તમારે દર મહિને 200 રૂપિયા જમા કરવાના રહેશે.

(4:42 pm IST)