Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના માતા-પિતા કોરોના પોઝિટિવ

કોરોનાનો ભરડો સેબ્રિટિસના કુટુંબને પણ આભડે છે : રાંચીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની સ્થિતિ સામાન્ય છે, સંક્રમણ ફેફસાં સુધી નથી પહોંચ્યું

રાંચી, તા.૨૧ : દેશ અને દુનિયાના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોનીના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા છે. કોવિડ -૧૯ પોઝિટિવ બન્યા બાદ ધોનીના માતા દેવકી અને પિતા પાન સિંઘ ધોનીને બરિયટુ રોડ પર સ્થિત પલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધોનીના માતા-પિતાની સારવાર કરતા ડોક્ટરોનું કહેવું છે કે, બંનેની હાલત સામાન્ય છે. તેમનો ઓક્સિજન લેવલ બરાબર છે. પલ્સ મેનેજમેન્ટ અનુસાર સંક્રમણ ફેફસાં સુધી નથી પહોંચ્યું. આશા છે કે આગામી કેટલાક દિવસોમાં બંને સ્વસ્થ થઈને સંક્રમણથી મુક્ત થઈ જશે.

બીજી તરફ સાહેબગંજ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર ધનંજય મિશ્રાનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી આકાશવાણી અને દૂરદર્શન સાથે સંકળાયેલા હતા. સાહેબગંજ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લાના સમ્માનિત પત્રકાર ધનંજય મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જિલ્લા નાયબ કમિશનર રામ નિવાસ યાદવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને પરિવારને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપવા પ્રાર્થના કરી છે. મંગળવારે ઝારખંડમાં ૪૯૬૯ નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોવિડ -૧૯પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૧૭૨૩૧૫ થઈ ગઈ છે.

             આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે ૯ વાગ્યે જારી કરેલા કોવિડ -૧૯ બુલેટિન મુજબ રાજ્યમાં હવે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા વધીને ૧૩૭૫૯૦ થઈ ગઈ છે. તેમજ ૨૩૩૪ ચેપગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે ૪૫ ચેપગ્રસ્ત લોકો વિવિધ હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે. આ સાથે, કોવિડ -૧૯ ચેપથી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા વધીને ૧૫૪૭ થઈ ગઈ છે. જ્યારે રાજ્યની વિવિધ કોવિડ હોસ્પિટલો અને હોમ આઈસોલેશનમાં ૩૩૧૭૮ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. રાંચીમાં સૌથી વધુ ૧૭૦૩ નવા કેસ નોંધાયા છે, જ્યારે પૂર્વ સિંઘભૂમમાં ૬૯૨, બોકારોમાં ૧૭૮, ચત્રામાં ૪૬, દેવઘરમાં ૧૧૬, ધનબાદમાં ૧૭૫, દુમકામાં ૫૩, ગઢવામાં ૩૦, ગિરિડામાં ૭૯, ગોડ્ડામાં ૭૯, ગુમલામાં ૧૪૯, હજારીબાગમાં ૧૭૭, જામતાડામાં ૧૩૩, ખુંટીમાં ૨૦૩, કોડરમામાં ૨૭૯, લાતેહારમાં ૯૨, લોહરદગામાં ૮૦, પાકુડમાં ૪, પલામુમાં ૭૩, રામગઢમાં ૧૬૯, સાહેબગંજમાં ૧૨૦, સરાયકેલામાં ૩૯, સિમડેગામાં ૧૪૩ અને પશ્ચિમી સિંઘભૂમમાં ૧૬૧ નવા દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને ૭૯.૮૪ ટકા થયું છે.

(7:52 pm IST)