Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ખેડૂતો ફરી આંદોલનના માર્ગે :યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોનું 72 કલાકનું વિરોધ પ્રદર્શન શરૂ

રાકેશ ટિકૈત, દર્શન પાલ અને જોગેન્દ્ર ઉગરા જેવા વરિષ્ઠ ખેડૂત નેતાઓ પણ આ ત્રણ દિવસીય વિરોધમાં સામેલ થશે : ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરવાની પણ માંગ કરી

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્ર વિરુદ્ધ ખેડૂતોનું 72 કલાકનું વિરોધ પ્રદર્શન આજથી શરૂ થઈ ગયું છે. આ વિરોધ પ્રદર્શનમાં પંજાબના લગભગ 10,000 ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા (SKM)એ લખીમપુર ખેરી હિંસા કેસમાં ‘ન્યાય’ની માંગ સાથે કેન્દ્ર સરકાર સામે 18 થી 20 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. પંજાબના ખેડૂતો બુધવારે સંયુક્ત કિસાન મોરચાના કોલ પર કેન્દ્ર સામે 72 કલાક લાંબી ધરણામાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જવા રવાના થયા હતા. રાકેશ ટિકૈત, દર્શન પાલ અને જોગેન્દ્ર ઉગરા જેવા વરિષ્ઠ ખેડૂત નેતાઓ પણ આ ત્રણ દિવસીય વિરોધમાં સામેલ થશે

   ખેડૂતોએ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરવાની પણ માંગ કરી હતી. જેમના પુત્ર આશિષની લખીમપુર ખેરી હિંસા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ગત વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખેરીમાં હિંસા દરમિયાન ચાર ખેડૂતો સહિત 8 લોકો માર્યા ગયા હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતનો ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા.

  ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ જોગિંદર સિંહ ઉગ્રહાને બુધવારે કહ્યું હતું કે, તેઓ એસકેએમના આહવાન પર લખમીપુર ખીરી જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે ત્યાં 72 કલાક ચાલનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈશું. બીકેયુના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીલાંએ કહ્યું હતું કે, મહિલાઓ સહિત લગભગ 2,000 ખેડૂતો વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઉત્તર પ્રદેશ જવા રવાના થયા છે. બીકેયુના અધ્યક્ષ મનજીત સિંહ રાયે કહ્યું હતું કે, પંજાબના 10,000 ખેડૂતો ખેડૂત વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.

(12:35 am IST)