Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

શું હવે બદલાશે લખનૌનું નામ ?: સીએમ યોગીના એક ટ્વિટથી લખનૌનું નામ બદલવાની ચર્ચા શરુ થઇ ગઇ

યોગીએ ટ્વિટ કર્યું હતું કે શેષાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પાવન નગરી લખનૌમાં આપનું સ્વાગત તથા અભિનંદન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક ટ્વિટથી લખનૌનું નામ બદલવાની ચર્ચા જોરશોરથી શરુ થઇ ગઇ છે. વડાપ્રધાન મોદીના લખનૌ આગમન પર તેમણે ટ્વિટ કર્યું હતું કે શેષાવતાર ભગવાન શ્રી લક્ષ્મણજીની પાવન નગરી લખનૌમાં આપનું સ્વાગત તથા અભિનંદન. આ ટ્વિટ સાથે તેમણે પીએમ મોદી ની સાથે પોતાની અને રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની તસવીર પણ પોસ્ટ કરી હતી.

યોગીના આ એક ટ્વિટથી ચર્ચાઓનું બજાર ગરમ થઇ ગયું હતું કે સીએમએ લખનૌને લક્ષ્મણનગરી તરીકે ઓળખાવ્યું છે અને તેથી શહેરનું નામ પણ બદલી શકાય છે. યોગીના ટ્વિટ બાદ ટ્વિટર પર હેશટેગ લક્ષ્મણપુરી ટ્રેન્ડ થવા લાગ્યું હતું. લોકોના મનમાં સવાલ ઉભો થયો હતો કે આખરે ભગવાન લક્ષ્મણનું લખનૌથી શું કનેકશન રહ્યું છે અને તેનું નામ બદલવા પાછળ તર્ક શું છે.

ભાજપના નેતાઓએ ઘણી વાર લખનૌનું નામ બદલીને ભગવાન લક્ષ્મણ પર કરવાની માગ કરી છે. જો કે તેમની માગ લક્ષ્મણનગરી અથવા લક્ષ્મણપુરી કરવાની રહી છે. 2018માં કલરાજ મિશ્રાએ લખનૌનું નામ લક્ષ્મણપુરી કરવાની માગ કરી હતી. તેમની આ ટિપ્પણી ભાજપના નેતા લાલજી ટંડનની પુસ્તક અનકહા લખનૌ બાદ આવી હતી જેમાં ટંડને ભગવાન લક્ષ્મણ અને લખનૌ વચ્ચેનું પૌરાણીક કનેકશન બતાવ્યું હતું.

ટંડને પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે લખનૌનો આ પહેલા લક્ષ્મણપુર અને લક્ષ્મણાવતી નામથી જાણવામાં આવતું હતું પણ ત્યારબાદ લખનૌતી અને લખનપુર પણ કહેવાતું હતું. તેમણે દાવો પણ કર્યો કે લખનૌનો ઇતિહાસ વૈદિક કાળથી રહ્યો છે અને ત્યારબાદ રામાયણકાળમાં ભગવાન લક્ષ્મણે લક્ષ્મણપુરીની સ્થાપના કરી હતી.

જુનુ લખનૌ લક્ષ્મણ ટીલાની આસપાસ વસાવાયુ હતું પણ આજે લક્ષ્મણ ટીલાનું નામ મીટાવી દઇને આ સ્થળને ટીલેવાળી મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે.

 લાલજી ટંડનના પુસ્તકના વિમોચન બાદ ભાજપે ટીલાવાળી મસ્જિદની બહાર ભગવાન લક્ષ્મણની મૂર્તિ મુકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને મહાનગરપાલિકાએ આ પ્રસ્તાવ પસાર પણ કર્યો હતો. જો કે વિપક્ષ અને લઘુમતી સમાજના નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો.

  જો કે આ વર્ષે 12મેના રોજ લખનૌ નગરપાલીકાના અધિકારીઓએ એલાન કર્યું કે શહેરમાં આવતા મહિનાથી લક્ષ્મણની 151 ફીટ ઉંચી પ્રતિમાનું નિર્માણ શરુ થયું હતું. લખનૌના મેયર સંયુક્તા ભાટીયાએ કહ્યું કે લક્ષ્મણની પ્રતિમા ગોમતી નદી પાસે ઝુલેલાલ વાટીકામાં મુકવામાં આવશે. આ મુર્તિ આસપાસ લક્ષ્મણ પ્રેરણા કુંજ નામની ગેલેરી પણ બનાવાશે જયાં ભગવાન લક્ષ્મણની જીવનકથા અને બલિદાનોની જાણકારી આપવામાં આવશે.

(12:59 am IST)