Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પંજાબના તરનતારનમાં વર-વધુ પહોંચે તે પહેલા લૂંટારૂઓ પહોંચી ગયાઃ અંધાધૂંધ ગોળીબાર કરતા વર-વધુને કારમાં જ બેસી રહેવુ પડયુઃ પોલીસે એકને ઠાર માર્યો, 4ને ઝડપી લીધા

રંગમાં ભંગ કહેવત, તો તમે જરૂર સાંભળી હશે. કંઈક આવું થયું પંજાબના તરનતારનમાં, જ્યાં લગ્ન કરવા માટે મેરેજ હૉલમાં પહોંચેલા વર-કન્યાને બહારજ રોકી દેવામાં આવ્યા હતા. વરઘોડિયાઓને મેરેજ હૉલની બહાર કારમાં રોકવાનું કારણ અંદર મિર્ઝાપુર વેબ સિરીઝની સ્ટાઈલમાં પોલીસ અને બદમાશો વચ્ચે થઈ રહેલો ગોળીબાર હતો. વર-કન્યા બહાર કારમાં બેસીને રાહ જોતા રહ્યા અને અંદરથી ગોળીબારનો અવાજ બહાર ગૂંજતો રહ્યો.

વાસ્તવમાં પંજાબના તરનતારનમાં જ્યાં એખ વર-કન્યા લગ્નની વિધિ બાન અન્ય કાર્યક્રમો માટે હાઈવે પર આવેલ મેરેજ હૉલ માહી રિસોર્ટની બહાર પહોંચ્યા, ત્યારે પોલીસે તેમને અંદર જતા અટકાવી દીધા.

પોલીસે મેરેજ હૉલને ચોતરફથી ઘેરી લીધો, કારણ કે અંદર 5 લૂંટારાઓ છૂપાયા હતા અને તેઓ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યાં હતા. જેના જવાબમાં પોલીસ પણ ફાયરિંગ કરી રહી હતી.

જ્યારે પોલીસ આરોપીઓનો પીછો કરી રહી હતી, ત્યારે તેઓ ભાગીને મેરેજ હૉલમાં છૂપાઈ ગયા. તેમનો પીછો કરતાં-કરતાં પોલીસ પણ મેરેજ હોલની અંદર આવી પહોંચી. જ્યાં પોલીસ અને આરોપીઓ વચ્ચે 3 કલાક સુધી અથડામણ ચાલતી રહી. જેમાં પોલીસે 80 રાઉન્ડ ફાયરિંગ કરીને એક આરોપીને ઠાર માર્યો, જ્યારે અન્ય 4ને ઝડપી પાડ્યા હતા.

બીજી તરફ વર-કન્યા ફૂલોથી સજાવેલી કારમાં બહાર બેસીને રાહ જોતા રહ્યા અને અંદરથી ગોળીઓની ધણધણાટી ચાલતી રહી. દરમિયાન જાનૈયાઓ પણ મેરેજ હૉલની બહાર લટાર મારતા જોવા મળ્યા.

(5:05 pm IST)