Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કાબુલ મસ્‍જિદમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ : ૨૧ના મોત

મસ્‍જિદના ઇમામ મૌલવી અમીર મોહમ્‍મદ કાબુલીનું પણ મોત ૪૦ થી વધુ ઇજાગ્રસ્‍ત

કાબુલ,તા.૧૮: અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં એક મસ્‍જિદમાં થયેલા બ્‍લાસ્‍ટમાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે. ખેરખાના વિસ્‍તારની મસ્‍જિદમાં જયારે લોકો મગરીબની નમાજ અદા કરી રહ્યા હતા ત્‍યારે વિસ્‍ફોટ થયો હતો. કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્‍તા ખાલિદ ઝદરાને વિસ્‍ફોટની પુષ્ટિ કરતા કહ્યું કે, કાબુલના પીડી ૧૭માં એક મસ્‍જિદમાં બોમ્‍બ વિસ્‍ફોટ થયો. તેમણે કહ્યું કે સુરક્ષા દળો વિસ્‍તારમાં પહોંચી ગયા છે અને તમામ ઘાયલોને હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વિસ્‍ફોટમાં મસ્‍જિદના ઇમામ મૌલવી અમીર મોહમ્‍મદ કાબુલીનું પણ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અફઘાનિસ્‍તાનના કાબુલમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ થયો છે. આ બોમ્‍બ વિસ્‍ફોટ કાબુલની મસ્‍જિદમાં થયો હતો. જેમાં ૨૧ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, લગભગ ૪૦ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કાબુલની ઈમરજન્‍સી હોસ્‍પિટલે જણાવ્‍યું છે કે ત્‍યાં કુલ ૨૭ લોકોને દાખલ કરવામાં આવ્‍યા છે. તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે.
હાલમાં સમગ્ર વિસ્‍તારને તાલિબાનના સુરક્ષાકર્મીઓ દ્વારા સીલ કરી દેવામાં આવ્‍યો છે, હાલમાં ઘાયલોને કાબુલની અલગ-અલગ હોસ્‍પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાબુલ શહેરના સર-એ-કોતલ ખેરખાનામાં આ બોમ્‍બ વિસ્‍ફોટ થયો હતો. કાબુલના સુરક્ષા વિભાગ ખાલિદ ઝરદાને વિસ્‍ફોટની પુષ્ટિ કરી છે.
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં આવા ઘણા હુમલા થયા છે, જેમાં માત્ર મસ્‍જિદોને નિશાન બનાવવામાં આવી હતી. પરંતુ આ હુમલામાં એક નવી વાત પણ છે. અત્‍યાર સુધી આતંકી સંગઠન આઈએસ દ્વારા શિયા મસ્‍જિદોને નિશાન બનાવવામાં આવતી હતી. પરંતુ આજે જે વિસ્‍તારમાં આ બ્‍લાસ્‍ટ થયો હતો ત્‍યાં શિયાઓની વસ્‍તી નથી.

 

(10:53 am IST)