Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ભાજપ સેન્‍ટ્રલ પાર્લામેન્‍ટરી બોર્ડમાંથી નીતિન ગડકરીનું પત્તુ કેમ કપાયુ ?

મોદી સરકારમાં કેન્‍દ્રીય મંત્રી તરીકેની નીતિન ગડકરીની ભૂમિકાની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી : તેમના વિરોધીઓ પણ દેશભરમાં ફેલાયેલા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્ક માટે ગડકરીના વખાણ કરે છે

નવી દિલ્‍હી તા. ૧૮ : મહારાષ્ટ્રના રાજકારણમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ તરીકે રાષ્ટ્રીય ફલક પર ઉભરેલા નીતિન ગડકરી હવે ભાજપના કેન્‍દ્રીય સંગઠનમાં મહત્‍વની ભૂમિકામાંથી બહાર છે. તેઓ કેન્‍દ્ર સરકારમાં મંત્રી અને પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીના માત્ર સભ્‍ય છે, પરંતુ કેન્‍દ્રીય સંસદીય બોર્ડ અને કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની બહાર રહેશે. આનાથી પાર્ટીમાં તેમના કદ પર પણ અસર પડી શકે છે. ભારતીય જનતા પાર્ટીની સર્વોચ્‍ચ સેન્‍ટ્રલ પાર્લામેન્‍ટરી બોર્ડમાંથી નીતિન ગડકરીનું બહાર નીકળવું ભાજપની ભાવિ વ્‍યૂહરચના સાથે સંબંધિત છે. આ નિર્ણયથી પાર્ટીના આંતરિક વિકાસ પર પણ અસર જોવા મળશે કે નહી તે તો આવનારા સમયે જણાશે. પાર્ટીના નવા વિકાસથી માત્ર  તેમની રાજકીય હાજરી જ નહીં, પરંતુ તેમની ચૂંટણીની રાજનીતિને પણ અસર થઈ શકે છે કે નહી તે પણ ભવિષ્‍યમાં જોવા મળે તો નવાઈ નહી.  
ગડકરી છેલ્લા ઘણા સમયથી જાહેર કાર્યક્રમોમાં ઉચ્‍ચારાતા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા છે અને રાજકારણ વિશે તેમની પોતાની અલગ વિચારસરણી પણ સ્‍પષ્ટ થઈ છે. તાજેતરમાં, એક કાર્યક્રમમાં, તેમણે વર્તમાન રાજકારણ પર પ્રશ્નો ઉઠાવ્‍યા હતા અને સંકેત આપ્‍યો હતો કે હવે રાજકારણમાં તેમને વધુ રસ નથી. જોકે, ગડકરી ભાજપના સંગઠનમાં અનેક ફેરફારો માટે પણ જાણીતા છે. પોતાની અલગ સ્‍ટાઈલને કારણે ઘણી વખત તે દરેક સાથે તાલમેલ સાધવામાં સફળ પણ નહોતા થયા.
મોદી સરકારમાં કેન્‍દ્રીય મંત્રી તરીકેની તેમની ભૂમિકાની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી હતી. તેમના વિરોધીઓ પણ દેશભરમાં ફેલાયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નેટવર્ક માટે ગડકરીના વખાણ કરે છે. પરંતુ તેમની સમસ્‍યાઓ પાર્ટીના આંતરિક સમીકરણોમાં રહી. તે પોતાની આગવી સ્‍ટાઈલને કારણે વિવાદોમાં પણ રહ્યા છે.
સંસદીય બોર્ડ અને કેન્‍દ્રીય ચૂંટણી સમિતિમાં નીતિન ગડકરીનો સમાવેશ ન કરીને કેન્‍દ્રીય નેતૃત્‍વએ એક મોટો સંદેશ આપ્‍યો છે કે પક્ષ વ્‍યક્‍તિગત નહીં પણ વિચારધારા પર કેન્‍દ્રિત છે. તેના વિસ્‍તરણમાં જે જરૂરી હશે તે કરવામાં આવશે. અગાઉ, પાર્ટીએ એક માર્ગદર્શક બોર્ડની રચના કરી હતી અને તેમાં વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્‍ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પક્ષના સક્રિય રાજકારણથી અલગ કરીને સામેલ કર્યા હતા.
મીડિયા રીપોર્ટ અનુસાર પાર્ટીના એક અગ્રણી નેતાએ કહ્યું કે મોદી સરકારે છેલ્લા વર્ષોમાં જે રીતે વિચારધારાના એજન્‍ડાને ઝડપથી અમલમાં મૂક્‍યો તેની અસર સરકારથી લઈને સંગઠન સુધી જોવા મળી છે.
નીતિન ગડકરીના મુદ્દે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ તેની અસર જોવા મળશે. પાર્ટીમાં ગડકરીના સ્‍થાને તેમના જ વતન નાગપુરથી આવેલા દેવેન્‍દ્ર ફડણવીસનું કદ વધ્‍યું છે. તાજેતરમાં જયારે ભાજપે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે જૂથ સાથે મળીને રાજયમાં સરકાર બનાવી ત્‍યારે દેવેન્‍દ્ર ફડણવીસ મુખ્‍યમંત્રી પદના ઉમેદવાર હતા. પરંતુ પાર્ટીએ તેમને નાયબ મુખ્‍યમંત્રી બનવા માટે મનાવી લીધા. હવે પાર્ટીએ તેમને કેન્‍દ્રીય ચૂંટણી સમિતિમાં સામેલ કરીને તેમનું કદ વધાર્યું છે.
ગડકરી અને ફડણવીસ બંને આરએસએસના નજીકના માનવામાં આવે છે. આવી સ્‍થિતિમાં બીજેપીના કેન્‍દ્રીય નેતૃત્‍વ દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણયમાં સંઘની સંમતિ પણ સામેલ હશે. હૈદરાબાદની રાષ્ટ્રીય કાર્યકારિણીની તાજેતરની બેઠકમાં, પાર્ટીએ આગામી ૨૫ વર્ષની જરૂરિયાતો અનુસાર તેના સંગઠનને તૈયાર કરવાનો કોલ આપ્‍યો હતો. તેમાં પણ નવા નેતાઓને પ્રોત્‍સાહન આપવું પડશે. આ જ કારણ છે કે ભૂપેન્‍દ્ર યાદવ અને દેવેન્‍દ્ર ફડણવીસ જેવા નેતાઓને પાર્ટીમાં ઘણું મહત્‍વ આપવામાં આવ્‍યું છે.

 

(10:32 am IST)