Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ચોરી બાદ બિહામણા સપનાથી ડરીને ચોર મંદિરની મૂર્તિ પાછી મૂકી ગયા

ચોરી કર્યા બાદ સામાન પાછો મૂકી જવાનો રસપ્રદ બનાવઃચોરોએ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લામાં ૩૦૦ વર્ષ જૂના મંદિરમાંથી ૧૪ કિંમતી મૂર્તિઓની ચોરી કરી

ઘણીવાર એવા કિસ્સા સામે આવે છે જ્યાં ચોર ચોરી કર્યા પછી કોઈ કારણસોર ચોરીનો સામાન પાછો મૂકી જતા હોય છે. તાજેતરમાં જ આવી વધુ એક કિસ્સો બન્યો છે. અહીં ચોર સામાન તો પાછો મૂકી જ ગયા, સાથે જ એક પત્ર પણ મૂક્યો હતો જેમાં માફી માંગવામાં આવી હતી અને સામાન પાછો મૂકવાનું કારણ પણ લખવામાં આવ્યુ હતું. તમને જાણીને નવાઈ લાગશે પણ ચોરોને ચોરી કર્યા પછી બિહામણા સપના આવતા હતા, જેના કારણે તેઓ સામાન પાછો મૂકી ગયા હતા. આ વાત અજીબોગરીબ લાગશે પરંતુ હકીકત છે. ઉલ્લેખનીય છે કે ચોરોએ ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લામાં ૩૦૦ વર્ષ જૂના મંદિરમાંથી ૧૪ કિંમતી મૂર્તિઓની ચોરી કરી હતી.

ચિત્રકૂટના પ્રસિદ્ધ બાલાજી મંદિરમાંથી લાખોની કિંમતની મૂર્તિઓ ચોરી થઈ ગઈ હતી. તરુહા ગામના રામલીલા મેદાનમાં સ્થિત ૩૦૦ વર્ષ જૂના ભગવાન બાલાજીના મંદિરમાંથી એક અઠવાડિયા પહેલા ૧૪ કિંમતી મૂર્તિઓ ચોરી થઈ ગઈ હતી. ચોરોએ મૂર્તિ પાછી કરી ત્યારે પત્રમાં જણાવ્યું કે, ચોરી કર્યા પછી તેમને રાત્રે ડરામણા સપના આવતા હતા. અત્યારે ચોરોની ઓળખ કરીને તેમની ધરપકડ કરવા માટે પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. એક અખબાર સાથેની વાતચીતમાં કાર્વી કોતવાલીના ઈન્સ્પેક્ટર રાજીવ સિંહે જણાવ્યું કે, બાલાજી મંદિરના પૂજારી મહંત રામ બાલક દાસે મૂર્તિઓ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમાંથી પાંચ કિલોની અષ્ટધાતુની મૂર્તિ અને ૧૦ કિલો વજનના કોપરથી બનેલી ભગવાન બાલાજીની ૩ મૂર્તિઓ, ૧૫ કિલો વજન વાળી તાંબાની ૪ મૂર્તિયો સહિત રોકડા પૈસા અને ચાંદીના સામાનની પણ ચોરી થઈ હતી. ૯મી મેની રાતે આ ઘટના બની હતી.

એક અઠવાડિયા પછી ચોરી કરવામાં આવેલી મૂર્તિઓ એક લેટરની સાથે માણિકપુર વિસ્તારમાં મહંત રામ બાલક દાસના ઘરની બહાર મળી આવી હતી. ત્યારપછી મહંતે પોલીસને આ વાતની જાણ કરી હતી. અષ્ટધાતુની કિંમતી મૂર્તિઓ હજી પણ પહોંચની બહાર છે. સવારે જ્યારે મહંત ગૌવંશને ચારો-પાણી આપવા બહાર નીકળ્યા ત્યારે તેમને એક કાગળ મળ્યો જેમાં મૂર્તિઓનો ઉલ્લેખ હતો. પત્રમાં લખવામાં આવ્યુ હતું, મૂર્તિ ચોરી કર્યા પછી અમને ઉંઘ નથી આવતી અને બિહામણા સપના આવી રહ્યા છે. માટે મૂર્તિઓ પાછી કરી રહ્યા છે, જેને તમે મંદિરમાં સ્થાપિત કરાવી દો. મહંતે મૂર્તિઓ શોધવાનો પ્રયત્ન કર્યો તો ઘરની બહાર ટોકરીની નીચે એક બોરીમાં તેમને મૂર્તિઓ મળી આવી હતી. જો કે હજી સુધી અષ્ટધાતુની બે મૂર્તિઓ નથી મળી.

(7:53 pm IST)