Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોવિડ-19ની બીજી લહેરથી બેકારીમાં વધારો: રાષ્ટ્રીય બેરોજગારી દર 8.58 ટકા થયો : શહેરી બેરોજગારી વધીને 9.81 ટકા થઈ ગઈ

આગામી દિવસોમાં બેકારી વધવાની શક્યતા લોકોની આર્થિક સ્થિતિ થશે ખરાબ

કોરોના મહામારીની બીજી લહેરે આર્થિક રિકવરીની ગતિ ઉપર ફરીથી બ્રેક મારી દીધી છે. રાજ્યો દ્વારા કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન કરવાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને બેરોજગારીમાં વધારો થયો છે. આ માહિતી સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ)ના ડેટામાં આપવામાં આવી છે.

CMIEના રિપોર્ટ અનુસાર, 11 એપ્રિલના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં શહેરી બેરોજગારી વધીને 9.81 ટકા થઈ ગઈ છે. જ્યારે તે 28 માર્ચે તે 7.72 ટકા અને માર્ચ મહિનાના આખા મહિના દરમિયાન 7.24 ટકા હતી.

જ્યારે આ સમય દરમિયાન રાષ્ટ્રીય બેરોજગારી વધીને 8.58 ટકા થઈ ગઈ છે, જે 28 માર્ચને પૂરા થયેલા સપ્તાહમાં 6.65 ટકા હતી. તો, આ સમયગાળા દરમિયાન ગ્રામીણ બેરોજગારી 6.18 ટકાથી વધીને 8% થઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઘણા રાજ્યોના શહેરોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેના પગલે બેકારી દરમાં વધારો થયો

નિષ્ણાંતોનાં મંતવ્ય અનુસાર, માર્ચથી શરૂ થયેલ કોરોનાની બીજી લહેરની નકારાત્મક અસર શહેરી રોજગાર પર જોવા મળી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનાં શહેરોમાં આંશિક લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું હોવાના કારણે બેરોજગારીમાં વધારો થયો છે.

દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં મોલ, રેસ્ટોરન્ટ, બાર જેવા જાહેર સ્થળોએ કોરોના નિયમોનું સખત પાલન કરાવવાથી શહેરી રોજગારમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે, અને આગામી દિવસોમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઘણા રાજ્યોમાં, કોરોનાની કડક ચકાસણી સાથે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર સાથે પ્રવેશના નિયમને કારણે પર્યટન ક્ષેત્રે રોજગાર ઘટવાની પણ સંભાવના છે. ગામડાઓમાં પણ સમસ્યાઓ વધવાની વાત કરવામાં આવી રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં રવી પાકની લણણીનું કામ ચાલતું હોવાના કારણે અને મનરેગામાં સતત કામ કરવાને કારણે બેકારીનો સ્તર શહેર કરતા નીચો છે. જોકે, આગામી કેટલાક દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ થવાની ધારણા છે કારણ કે રવી પાકના પાક  પછી ગામમાં કામની અછત સર્જાશે જે બેકારીમાં વધારો કરશે.

કોરોના સંકટને લીધે 2020માં મોટાભાગના સ્થળાંતરીત કામદારો તેમના ઘરે પરત ફર્યા હતા. લોકડાઉન હળવી થયા પછી અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી ગઈ હતી, પરંતુ ફરી એકવાર કોરોના કેસ સતત વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, લોકો લોકડાઉન થાય તે પહેલાં જ નોકરી છોડીને તેમના ઘરે પહોંચવા માંગે છે. તેનાથી બેરોજગારીમાં વધુ વધારો થવાની આશંકા છે.

કોરોનાને કારણે મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરની નબળી કામગીરીને કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. માર્ચમાં છૂટક ફુગાવાનો દર વધીને 5.52 ટકા થયો હતો કારણ કે ખાદ્ય ચીજો મોંઘી થઇ છે. બીજી તરફ વધતી બેકારી લોકોની આર્થિક સ્થિતિને વધુ ખરાબ કરશે.

(1:01 am IST)