Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

૫.૬ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠયું અફઘાનિસ્તાન : ૨૬ના મોત

પ્રાંતના દક્ષિણ ભાગ સ્થિત કાદિસ જિલ્લામાંથી સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઇ છે

કાબુલ તા. ૧૮ : સોમવારે બપોરે અફઘાનિસ્તાનના પશ્ચિમમાં સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જોડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. રિકટર સ્કેલ પર તીવ્રતા ૫.૬ માપવામાં આવી છે. આ કુદરતી ઘટનાથી અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે. એક સ્થાનિક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીઓએ ભય વ્યકત કર્યો હતો કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ભૂકંપથી પ્રભાવિત દૂરના ગામોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા વિનાશમાં ઘણા મકાનો ધરાશાયી થયા છે. અમેરિકન જીઓલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય અનુસાર બપોરે લગભગ ૨ વાગ્યે ૫.૬ની તીવ્રતાનો પહેલો ભૂકંપ અનુભવાયો હતો, જયારે ૪.૯નો બીજો ભૂકંપ સાંજે ૪ વાગ્યે અનુભવાયો હતો.

પ્રાંતના સંસ્કૃતિ અને માહિતી વિભાગના વડા બસ મોહમ્મદ સરવારીના જણાવ્યા અનુસાર, પ્રાંતના દક્ષિણ ભાગમાં સ્થિત કાદિસ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે અને સૌથી વધુ જાનહાનિ થઈ છે. આ પહેલા શુક્રવારે રાત્રે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેમાં કોઈ નુકસાન થયું ના હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં ૧૦૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

નોંધનીય છે કે, શુક્રવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. જોકે તે સમયે કોઈ જાનહાનિની માહિતી સામે આવી ના હતી. શુક્રવારે આવેલા ભૂકંપ ૫.૩ તીવ્રતા અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી ૧૧૭ કિમી દક્ષિણપૂર્વમાં હતું.

શુક્રવારે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા પર જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેનાથી રાજધાની જકાર્તામાં ઈમારતો હચમચી ગઈ હતી, પરંતુ જાન-માલને કોઈ ગંભીર નુકસાન થયાના તાત્કાલિક અહેવાલ મળ્યા ના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.

(10:11 am IST)