Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બિહાર મહાગઠબંધન સરકારમાં નીતિશ, તેજસ્વી સહિત 72 ટકા મંત્રી સામે ક્રિમિનલ કેસ:ADR રિપોર્ટમાં ખુલાસો

17 મંત્રીઓ (53 ટકા) એ પોતાના વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ મામલા જાહેર કર્યાં: 32 મંત્રીઓમાંથી 27 (84 ટકા) કરોડપતિ : ADR અને ‘બિહાર ઇલેક્શન વોચ’ એ મુખ્યમંત્રી સહિત 33માંથી 32 મંત્રીઓ દ્વારા વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ એફિડેવિટનું વિશ્લેષણ કર્યું

બિહારના નવા મંત્રીમંડળમાં સામેલ 72 ટકા મંત્રીઓએ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસો જાહેર કર્યાં છે. બિન સરકારી સંગઠન ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) એ આ જાણકારી આપી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ પણ કેસ નોંધાયેલા છે. હાલમાં ભાજપનો સાથ થોડી રાષ્ટ્રીય જનતા દળની સાથે મળીને સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે 31 મંત્રીઓને સામે કરી મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો

બિહાર મંત્રી પરિષદના વિસ્તાર બાદ ADR અને ‘બિહાર ઇલેક્શન વોચ’ એ મુખ્યમંત્રી સહિત 33માંથી 32 મંત્રીઓ દ્વારા 2020 વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ એફિડેવિટનું વિશ્લેષણ કર્યું છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે જેડીયૂ નેતા અને કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ પોતાનું એફિડેવિટ જમા કરાવવાની જરૂર નથી, કારણ કે તે વિધાન પરિષદના નોમિનેટ સભ્ય છે. તેથી ક્રિમિનલ, નાણાકીય અને અન્ય વિગત સંબંધી તેમની જાણકારી જાહેરમાં ઉપલબ્ધ નથી.

રિપોર્ટ પ્રમાણે 23 મંત્રીઓ (72 ટકા) એ પોતાના વિરુદ્ધ ક્રિમિનલ કેસ જાહેર કર્યાં છે, જ્યારે 17 મંત્રીઓ (53 ટકા) એ પોતાના વિરુદ્ધ ગંભીર ક્રિમિનલ મામલા જાહેર કર્યાં છે. તો 32 મંત્રીઓમાંથી 27 (84 ટકા) કરોડપતિ છે. તે પ્રમાણે સર્વાધિક સંપત્તિવાળા મંત્રી સમીર કુમાર મહાસેઠ છે, જે મધુબની સીટનું પ્રતિનિધિત્વ કરે છે. સમીરની સંપત્તિ 25.45 કરોડ રૂપિયા છે. તો સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી મુરારી પ્રસાદ ગૌતમ છે, જેની સંપત્તિ 17.66 લાખ રૂપિયાની છે. એડીઆર પ્રમાણે 8 મંત્રીઓ (25) ટકાએ પોતાની શૈક્ષણિક યોગ્યતા 8થી 12 ધોરણ સુધી જ્યારે 24 મંત્રીઓ (75 ટકા) એ ગ્રેજ્યુએશન કે તેનાથી ઉપરનું શિક્ષણ હાસિલ કર્યું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નીતિશે કાર્તિકેય સિંહને રાજ્યના કાયદા વિભાગની જવાબદારી સોંપી છે. હવે આરોપ લાગી રહ્યો છે કે નીતિશ કુમારે એક વોન્ટેડને કાયદા મંત્રી બનાવી દીધા છે. હકીકતમાં બિહારના નવા કાયદામંત્રી પર ચોંકાવનારો ખુલાસો થયો છે. કાયદા મંત્રી કાર્તિકેય સિંહે અપહરણના એક કેસમાં કાલે દાનાપુર કોર્ટમાં સરેન્ડર કરવાનું હતું પરંતુ તેઓ શપથ લેવા રાજભવન પહોંચી ગયા. તો કાર્તિકેય સિંહે કહ્યુ કે તેમના વિરુદ્ધ કોઈ વોરંટ નથી. તેમણે એફિડેવિટમાં તમામ જાણકારી આપી છે

(11:46 pm IST)