Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

બોગસ બિલિંગ અટકાવવા GST વિભાગ હવે ડોર ટુ ડોર સરવે કરશે

જીએસટી નંબર લેનારા તમામની ઉલટ તપાસ કરવામાં આવશે : માત્ર કાગળ પર જ વેપલો કરનારાઓ ખુલ્લા પડે તેવી આશંકાથી ફફડાટ

મુંબઇ,તા. ૧૭ : બોગસ બિલિંગ અટકાવવા માટે હવે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ તમામ જીએસટી નંબર પર સ્થળ તપાસ કરવાની કામગીરી શરૂ કરી છે. જો કે, આ કામગીરી દરમિયાન કેટલાક અધિકારીઓ વિના કારણે પરેશાન પણ કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. જ્યારે બોગસ બિલિંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આધારકાર્ડ અને પાનકાર્ડ લીંક હોય તેવા લોકો નવો જીએસટી નંબર લેવા માટે અરજી કરવામાં આવે તો તેઓની સ્થળ તપાસ કર્યા વિના જ નવો જીએસટી નંબર ફાળવી દેવામાં આવતો હોય છે. જ્યારે બોગસ બિલિંગમાં સંડોવાયેલા લોકોને આ તરકીબથી સારી રીતે વાકેફ હોવાના કારણે હવેથી સ્ટેટ જીએસટીના અધિકારીઓ જીએસટી નંબર ધરાવતા તમામને ત્યાં સ્થળ તપાસ કરીને તે જગ્યા પર પેઢી ચલાવવામાં આવે છે કે નહીં તેની ચકાસણી શરૂ કરી છે. તેમાં પેઢીને લગતા દસ્તાવેજ સહિતની વિગતો પણ પુરાવા સ્વરૂપે માંગવામાં આવી રહી છે.

જેથી કાગળ પર જ પેઢી ઉભી કરીને બિલિંગનો વેપલો કર્યા બાદ ખોટી રીતે આઇટીસી મેળવી સરકારને ચૂનો ચોપડવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ચલાવનારાઓ સામે તવાઇ આવવાની શકયતા સેવાઇ રહી છે.

  • શ્રમજીવીના નામે પેઢી શરૂ કર્યાનું ખુલ્યુ હતું

બોગસ બિલિંગના કેસ પકડવામાં આવ્યા બાદ અધિકારીઓએ શરૂ કરેલી તપાસમાં શ્રમજીવી, રીક્ષા ચલાવનાર, ચાની લારી ચલાવનારના આધારકાર્ડ અને પાનકાર્ડ લઇને તેઓના નામે પેઢી ઉભી કરવામાં આવી હોવાનું ખુલ્યુ હતું. જેથી બોગસ બિલિંગ પકડાવા છતાં ખોડી રીતે લીધેલી આઇટીસીની વસુલાત હજુ સુધી જીએસટી વિભાગ કરી શકયો નથી તેના કારણે પણ આ પ્રમાણે સરવે શરૂ કરીને કાગળ પર ચાલતી પેઢી શોધી કાઢવામાં આવનાર છે

(10:17 am IST)