Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

11 જૂને મરાઠાવાડ વિસ્તારમાં ચોમાસાનું આગમન: 6 જૂને મુંબઈગરાને ભીંજવશે

ચોમાસાની અંદમાનમાં એન્ટ્રી :લગભગ છ દિવસ પહેલા ચોમાસું આવી ગયું :હવે ચોમાસું કેરળમાં 27મી મેના રોજ દસ્તક આપશે: વિદર્ભ , ઉત્તર મહારાષ્ટ્રમાં પણ 11 જૂન સુધીમાં ચોમાસાની આગાહી

નવી દિલ્હી : દેશના અન્ય ભાગોની જેમ આ વખતે મહારાષ્ટ્રમાં પણ ચોમાસું જલ્દી આવી જશે. આ વખતે ચોમાસું મુંબઈમાં 6 જૂને પહોંચશે. 11મી જૂને મરાઠાવાડા વિસ્તારમાં આવશે. વધતી ગરમીમાં રાહતની આશા સાથે ગઈકાલે ચોમાસાએ અંદમાનમાં દસ્તક આપી હતી. લગભગ છ દિવસ પહેલા ચોમાસું આવી ગયું છે. હવે ચોમાસું કેરળમાં 27મી મેના રોજ દસ્તક આપશે. હવે મહારાષ્ટ્ર પણ ચોમાસાને આવકારવા તૈયાર છે. અંદમાનમાં ચોમાસાના વહેલા આગમનને કારણે મહારાષ્ટ્રમાં ચોમાસાના વહેલા સ્વાગતની તૈયારીઓ અને રાહ જોવાઈ રહી છે. જો સ્થિતિ આવી જ રહી તો 6 જૂને મુંબઈમાં અને 11 જૂને મરાઠાવાડ વિસ્તારમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે.

વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્રમાં પણ 11 જૂન સુધીમાં ચોમાસાની આગાહી કરવામાં આવી છે. ગયા વર્ષે આ વિસ્તારોમાં ચોમાસા માટે 10 જુલાઈ સુધી રાહ જોવી પડી હતી. તેની સરખામણીમાં આ વખતે ચોમાસાનું આગમન એક મહિના અગાઉથી શક્ય બનશે.

 

આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી મુશળધાર વરસાદના સંકેત આપ્યા છે. મહારાષ્ટ્રના 9 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેવી જ રીતે હવામાન વિભાગે આગામી બે દિવસમાં કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના જે નવ જિલ્લાઓમાં 16થી 19 મે દરમિયાન મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં પશ્ચિમ મહારાષ્ટ્ર સહિત મરાઠાવાડ અને કોંકણના મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં કોંકણના રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ, મરાઠાવાડાના પરભણી, હિંગોલી, નાંદેડ, લાતુર અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા અને સાંગલી જિલ્લાઓ છે.

પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાં આગામી 5 દિવસમાં જોરદાર પ્રી-મોન્સુન વરસાદની અપેક્ષા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ માટે સાનુકૂળ સ્થિતિને કારણે ભેજવાળા પવનો ઝડપથી ફૂંકાઈ રહ્યા છે. આથી અનેક જગ્યાએ ગાજવીજ અને વાદળોના ગડગડાટ સાથે મુશળધાર વરસાદની શક્યતા છે. 40થી 50 કિલોમીટરની ઝડપે જોરદાર પવન પણ ફૂંકાશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાને ધ્યાનમાં રાખીને બીએમસી દ્વારા પાણીના નિકાલ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવાય છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે મોટાભાગનું કામ પુરું પણ કરી દેવામાં આવ્યું છે.

(9:02 pm IST)