Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાહુલને મળ્યા બાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું

પંજાબઃ સિધ્ધુએ ૧૮ દિવસ બાદ રાજીનામું પાછું ખેંચ્યું

નવી દિલ્હી,તા.૧૬: નવજોત સિંહ સિદ્ઘુ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ઘુએ રાજીનામું પાછું ખેંચી લીધું છે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના વિરોધ છતાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવેલા સિદ્ઘુએ નવા મુખ્યમંત્રી ચન્ની સામે નારાજગી બાદ રાજીનામું આપ્યું હતું. મુખ્ય હોદ્દા પર નિમણૂકોમાં દખલગીરી ન સ્વીકારવાને કારણે તે નારાજ હતા.

આ જાહેરાત કરતા પંજાબના કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે,'તેમણે (સિદ્ઘુ) રાહુલ ગાંધીને પોતાની ચિંતાઓ જણાવી. અમે તેમને કહ્યું છે કે તેમની ચિંતાનું ધ્યાન રાખવામાં આવશે. તેમણે રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું કે તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે તેમનું કામ કરવાનું ચાલુ રાખશે. 'રાહુલને મળ્યા બાદ સિદ્ઘુએ તેમના નિવાસસ્થાનની બહાર પત્રકારોને કહ્યું. મેં રાહુલ ગાંધી સાથે વાત કરી છે, બધું જ ઉકેલાઈ ગયું છે.

આના એક દિવસ પહેલા જ તેમણે કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને પંજાબના પ્રભારી હરીશ રાવત સાથે મુલાકાત કરી હતી અને વરિષ્ઠ નેતાઓને તે મુદ્દાઓથી વાકેફ કર્યા હતા જેના પર તેમણે ભૂતકાળમાં પદ છોડ્યું હતું. રાજીનામાની જાહેરાત બાદ સિદ્ઘુએ કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે મુલાકાત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે ૨૪ અકબર રોડ (કોંગ્રેસ હેડકવાર્ટર) ખાતે લગભગ દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં પંજાબ સરકાર અને સંગઠન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સર્વસંમતિ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ચૂંટણી પહેલા, સમગ્ર પક્ષ મેદાનમાં એક થઈ જશે

બેઠક બાદ સિદ્ઘુએ કહ્યું હતું કે, મેં પંજાબ અને પંજાબીઓને લગતી ચિંતાઓ પાર્ટી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે. મને કોંગ્રેસ અધ્યક્ષ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે જે પણ નિર્ણય લેશે, તે કોંગ્રેસ અને પંજાબના હિતમાં રહેશે. હું તેની સૂચનાઓનું પાલન કરીશ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં સિદ્ઘુએ કહ્યું હતું કે તેઓ પાર્ટીની સેવા કરવાનું ચાલુ રાખશે. તેમણે પત્રમાં લખ્યું, 'કોઈપણ વ્યકિતના વ્યકિતત્વમાં ઘટાડો સમાધાનથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે સમાધાન કરી શકતો નથી.

(9:57 am IST)