Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મોં સુકાઈ જવું અને માથાનો દુઃખાવો કોરોનાના નવા લક્ષણ

દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ખતતરનાક બની : કોરોનાનો નવો વેરિયંટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે તેના લક્ષણો પણ બદલાતા જોવા મળી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૬  : દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. મોટી ઉંમરના લોકોની સાથે બાળકો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. કોરોનાનો નવો વેરિયંટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે તેના લક્ષણો પણ બદલાતા જોવા મળી રહ્યા છે.

અગાઉ કોરોના થાય ત્યારે તેના સામાન્ય લક્ષણોમાં ખૂબ તાવ રહેવો, ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ થવી, શરીર તૂટવું, સ્વાદ અને ગંધ જતા રહેવા, નાકમાંથી પાણી નીકળવાનો સમાવેશ થતો હતો. જો કે, હવે મોં સૂકાઈ જવું, લાળ ન બનવી, પેટની કેટલીક સમસ્યા અને માથાના દુઃખાવા જેવા લક્ષણો પણ જોવા મળે છે.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) એન્ડ પ્રિવેન્શનના કહેવા અનુસાર બીમાર વ્યક્તિ સાથે સીધો સંપર્ક અથવા હવા દ્વારા ટ્રાન્સમિશન હજી પણ કોરોના વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ છે. સીડીસીની સલાહ અનુસાર અમુક અસામાન્ય લક્ષણો દેખાય કે શરીરમાં અસામાન્ય ફેરફાર લાગે તો પણ ટેસ્ટ કરાવામાં મોડું ન કરવું. કોરોનાના અસામાન્ય લક્ષણોમાં આંખ લાલ થવી, બહેરાશ આવવી અથવા ધીમું સંભળાવું, શ્રવણ શક્તિ મંદ પડવી, કાનમાં દુઃખાવો થવો અને પેટ સંબંધિત તકલીફો થવાનો સમાવેશ થાય છે.

પેટ સંબંધિત તકલીફની વાત આવે ત્યારે પાચન ઉપરાંત લિવર, સ્વાદુપિંડ, પિત્તાશયની ખાસ કાળજી લેવી. કોવિડ જઠરની કાર્ય પદ્ધતિ પર અસર પાડી શકે છે જેના કારણે તે શરીરમાંથી ઈલેક્ટ્રોલાઈટ્સ અને ફ્લૂઈડ્સ એકત્ર કરવાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતું. પરિણામે જઠરમા બ્લીડિંગ જેવી સમસ્યા થઈ શકે છે.

ચીનમાં થયેલા એક અભ્યાસ અનુસાર, આંખ લાલ થઈ જવી પણ કોરોનાના સંક્રમણના સંકેત છે. આંખ લાલ થવી, સોજો આવવો અથવા પાણી નીકળવું પણ લક્ષણ હોઈ શકે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, કોરોના વાયરસના અડધા દર્દીઓને મોંને લગતી સમસ્યાઓ થાય છે. કેટલાક દર્દીઓમાં મોં સૂકાઈ જવા જેવા લક્ષણ જોવા મળ્યા હતા. તમારા શરીરની લાળ ગ્રંથિ યોગ્ય પ્રમાણમાં લાળ ઉત્પન્ન નથી કરી શકતી જેના કારણે મોં સૂકાઈ જાય છે. વાયરસ મસલ ફાઈબર અને ઓરલ લાઈનિંગ્સ પર હુમલો કરે છે.

કોવિડ ટંગ વધુ એક અસામાન્ય લક્ષણ છે જે આજકાલ ઘણાં દર્દીઓમાં જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં જીભ સફેદ પડવા માંડે છે. શરીર મોંને બેક્ટેરિયા સામે રક્ષણ આપતી લાળ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જાય છે. આ લક્ષણ દેખાતું હોય તેવા દર્દીઓને ચાવવામાં અને બોલવામાં તકલીફ પડે છે. કોવિડ ટંગના કારણે જીભની સંવેદનશીલતા પર અસર થાય છે. ઉપરાંત છારા પડ્યા હોવાથી ચાવવાના લીધે જીભના સ્નાયુઓમાં દુઃખાવો થાય છે.

જે લોકોમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હોય તેમનામાં અશક્તિ, ચક્કર, ધ્રૂજારી, ઊંઘ ન આવવી, ડિપ્રેશન, એંગ્ઝાયટિ, સાંધામાં દુઃખાવો, છાતી ભીંસાતી હોય તેવું લાગવું વગેરે લાંબા સમય સુધી અનુભવાય છે. જે દર્દીઓમાં હળવાથી સામાન્ય લક્ષણો જોવા મળ્યા હોય તે કોઈપણ ખાસ સારવાર વિના સાજા થઈ જાય છે. જ્યારે ડાયાબિટીસ, શ્વાસને લગતી તકલીફ કે કેન્સર જેવી બીમારી હોય તે લોકોને ગંભીર અસર કરી શકે છે.

(7:38 pm IST)