Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાહુલ માટે કોંગ્રેસ પ્રેસિડેન્સી કાંટાળો તાજ બની જશે..!

કાલે રાહુલ ગાંધી સત્તાવાર સંભાળશે કોંગ્રેસનું પ્રમુખ પદ : એકિઝટ પોલમાં કોંગ્રેસની ગુજરાત હારના પરિણામની અસર પડશેઃ રાહુલને પ્રમુખ બનાવી જીતનો શ્રેય તેને આપવાનો હતો પણ...

નવી દિલ્હી તા. ૧૫ : ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી થઈ છે અને પાછલા લગભગ ક્ષણ મહિનાથી ચાલતી ભાજપ-કોંગ્રેસની મેરેથોન રેસમાં પણ બ્રેક ટાઈમ છે. પરંતુ નવા નવા બનેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે આગળ પણ મંઝીલ લાંબી છે. એક બાજુ લગભગ બધા જ એકિઝટ પોલમાં ગુજરાતમાં ભાજપની જીત દેખાઈ રહી છે ત્યારે ૧૬મી ડિસેમ્બરે કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલના વિધિવત કાર્યભાર સંભાળવાના છે. કોંગ્રેસના સૂત્રોએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં કોઇપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

લગભગ ૯ જેટલા એકિઝટ પોલમાં ભાજપ ગુજરાતમાં ૧૦૦થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી સરકાર રચતું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. ગુજરાતની ચૂંટણી એટલા માટે પણ મુખ્ય બની રહે છે કે પીએમ મોદીના વિકાસ મોડેલ પર આકાર પ્રહાર કરતી કોંગ્રેસ જો અહીં જીત મેળવવામાં સફળ રહે તો સમગ્ર દેશમાં ભાજપ અને મોદીની આગેકુચને અટકાવવામાં સહાયતા મળે. જયારે બીજુ કારણ ખુદ રાહુલ ગાંધીએ આ ચૂંટણીને અત્યંત વધુ મહત્વ આપતા પર્સનલાઈઝ ટચ સાથે જંગી પ્રચાર કર્યો હતો. ત્યારે તેમની પોતાની છબી પણ આ ચૂંટણી પરીણામો સાથે જોડાયેલ છે.

જોકે એકિઝટ પોલના તારણોથી અલગ કોંગ્રેસને આશા છે કે ગ્રામ્ય અને શહેરી બંને મતદારો નોટબંધી અને જીએસટી જેવા મુદ્દે તેમને સાથ આપશે. અમારા સહયોગી દિલ્હી મિરર સાથે વાત કરતા કોંગ્રેસના ટોચના નેતાઓએ જણાવ્યું કે 'અમે રાહુલ ગાંધી સાથે જ આગળ વધીશું કેમ કે ભલે એકિઝટ પોલ ગમે તે કહે પરંતુ આવા પોલ પહેલા પણ ઘણીવાર ખોટા પડ્યા છે. આ તો ફકત શેર બજારમાં ફીલ ગુડ સેન્ટિમેટ જાળવી રાખવા માટે આ પ્રકારે તારણ આપવામાં આવ્યા છે.' જયારે પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી પરીણામોમાં હાર થાય તો નૈતીક જવાબદારીરૂપે પ્રમુખ પદે ન ગ્રહણ કરવું જોઈએ તેવા નિવેદનોથી બચવા માટે તો રાહુલ ગાંધીને રીઝલ્ટના બે દિવસ પહેલા પ્રમુખ નથી બનાવી દેવામાં આવી રહ્યાને જેના જવાબમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ લીડરે કહ્યું કે, 'રાહુલ ગાંધીએ ગુજરાતમાં એક પરીવર્તનની હવા ફૂંકી છે. અમને પૂરી ખાતરી છે કે ગુજરાતમાં અમારી જ જીત થશે અને રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ તરીકે આગળ પણ બધે અમને જીત અપાવાશે.'

કોંગ્રેસ કહે છે કે, 'રાહુલ ગાંધીની યુવા ઈમેજ અને તેમને કોંગ્રેસની કમાન સોપવાના નિર્ણયથી વધુને વધુ યુવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસ તરફી મતદાન કરી રહ્યા છે અને આજ બાબત તેમને ગુજરાત ચૂંટણી તથા ૨૦૧૯માં ભવ્ય વિજય અપાવશે.' ગુજરાત પ્રદેશ કોંગ્રેસને પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, 'બધી જ ધારણાઓ ખોટી છે અમે જ ગુજરાતમાં જીતી રહ્યા છીએ અને ૧૬ ડિસેમ્બરનો કાર્યક્રમ યથાવત જ છે. આ સમગ્ર શીડ્યુલ પહેલાથી ફિકસ હતો જેથી ચૂંટણી પરીણામ સાથે તેને કંઈ જ લાગતું વળગતું નથી.'

જોકે કોંગ્રેસના કેટલાક નેતાઓએ માને છે કે 'એકિઝટ પોલના રીઝલ્ટે તેમને ચોંકાવી દીધા છે. પાર્ટીએ ૧૬મીના રાહુલના પદગ્રહણની જાહેરાત કરવા પાછળ ગણિત રાખ્યું હતું કે બે દિવસ બાદ ગુજરાતમાં મળનાર વિજયનો શ્રેય નવા પક્ષ પ્રમુખને આપી શકાય પરંતુ હવે અમને લાગે છે કે અમે કયાંક ખોટા હતા.'

તો ગુજરાતના ડે.ચીફ મિનિસ્ટર નીતિન પટેલે કહ્યું કે, 'એકિઝટ પોલથી સાબિત થઈ ગયું છે કે ગુજરાતની જનતાએ રાહુલના ટેમ્પલ ટુરિઝમ અને હાર્દિક સહિતના પર આધાર રાખવાની બાબતને નકારી કાઢી છે. આ દર્શાવે છે કે રાહુલ ગાંધીનો ગુજરાત શો સંપૂર્ણ ફલોપ છે.' તેમણે વધુમાં કહ્યું કે, 'જો રાહુલને ગુજરાત ઈલેકશન પછી પ્રમુખ બનાવવામાં આવત તો કોંગ્રેસ એક વિચિત્ર પરિસ્થિતિમાં ફસાઈ જાત. કેમ કે કોંગ્રેસ જાણતી જ હતી કે તેઓ ગુજરાતમાં ફાવી શકશે નહીં પરંતુ જાતિવાદ ફેલાવીને કોંગ્રેસ જીત મેળવવાની આશા રાખતું હતું અને તેનો જીતનો શ્રેય રાહુલના માથે મઢવા માગતું હતું પરંતુ ગુજરાતના લોકોને ઓળખવામાં કોંગ્રેસ ફરી એકવાર થાપ ખાધી છે.'

જયારે રાહુલ ગાંધીની નજીક રહેલા અન્ય એક નેતાએ અમને જણાવ્યું કે, 'રાહુલ ગાંધી ખૂબ જ ધૈર્યવાન વ્યકિત છે. ગુજરાતે તેમને ઘણું શિખવ્યું છે. તે પોતાનામાં જ નિરંતર સુધાર કરતા રહે છે અને ગુજરાત ચૂંટણીએ તેમને જે શીખવ્યું છે તે ભવિષ્ય માટે પણ તેમને રાજનીતિના ઘણા દાવ રમવામાં માર્ગદર્શક બનશે.'

(10:45 am IST)