Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

કોરોનાના તમામ લક્ષણ છતાં RTPCR ટેસ્ટ નેગેટિવ આવે છે

કોરોનાની લહેરની વચ્ચે ટેસ્ટને લઈને ચિંતા વધી : નવો સ્ટ્રેન દેખાયા બાદ બેંગલુરુની એક સરકારી હોસ્પિટલમાં એક સપ્તાહમાં એવા આઠ કેસ સામે આવ્યા

બેંગલુરુ, તા.૧૫ : કોરોનાના મોટાભાગના લક્ષણો હોવા છતાંય આરટી-પીસીઆર નેગેટિવ આવતો હોય તેવું ઘણીવાર જોવા મળ્યું છે. જોકે, તેનો નવો સ્ટ્રેન દેખાયા બાદ બેંગલુરુની એક સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં એવા આઠ કેસ સામે આવ્યા છે કે જેમાં દર્દીઓને તમામ લક્ષણો હોવા છતાંય તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, અને આખરે તેમનો સિટી સ્કેન કરાતા તેમનાં ફેફસાંમાં ઈન્ફેક્શન હોવાનું કન્ફર્મ થયું હતું. જેમાંથી બે દર્દીઓનાં તો મોત પણ થયા છે.

હોસ્પિટલના સત્તાધીશોનું માનીએ તો આટલા ટૂંકાગાળામાં આટલી મોટી સંખ્યામાં આરટી-પીસીઆર રિપોર્ટમાં કોરોના ના પકડાયો હોય તેવું પહેલા નથી બન્યું. તમામ દર્દીઓને કોરોનાના પરંપરાગત લક્ષણો હતા, અને તેમને હોસ્પિટલમાં એડમિટ પણ કરવા પડે તેવી સ્થિતિ હતી. જોકે, આરટી-પીસીઆરમાં ખોટું નિદાન થતાં આખરે તેમના સિટી સ્કેન કરાયા હતા, જેમાં ઈન્ફેક્શન ડિટેક્ટ થયું હતું. જોકે, તેમાંથી બે દર્દી મોતને ભેટ્યા હતા તેવી માહિતી જયાનગર જનરલ હોસ્પિટલના કોવિડના નોડલ ઓફિસર ડૉ. સુધા હેરુરે આપી હતી.

સરકારી હોસ્પિટલોમાં પોઝિટિવ પેશન્ટના રેન્ડમ સેમ્પલ લઈને તેમને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાતા હોય છે. જોકે, આઠ દર્દીઓને લાગેલું ઈન્ફેક્શન વાયરસના અલગ વેરિયંટનું છે કે કેમ તે જાણવા તે તમામનું જિનોમ સિક્વન્સ કરાવવું જરુરી છે. કર્ણાટકની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. સીએન મંજુનાથનું માનીએ તો, ઘટના ક્લસ્ટર કેસોની હોઈ શકે છે. જે દર્દીને આરટીપીસીઆરમાં કોરોના ડિટેક્ટ ના થાય તેનું સિટી સ્કેન કરાય છે. જો તેમાં ઈન્ફેક્શન દેખાય તો વ્યક્તિને કોવિડ પેશન્ટ ગણી તેની તે અનુસાર સારવાર કરાય છે. જો એક આરટીપીસીઆરમાં રિઝલ્ટ ખોટું આવે તો રિપીટ આરટીપીસીઆર પણ કરી શકાય છે.

ડૉક્ટર્સનું એવું પણ માનવું છે કે આરટીપીસીઆર કોરોના છે કે નહીં તે જાણવાનું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણાય છે. તેવામાં જો તેનો રિપોર્ટ ખોટો આવે તો પેશન્ટ પોતાના લક્ષણો અવગણીને સારવાર લેવાનું ટાળે છે, જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની શકે છે. સામાન્ય રીતે ૧૦-૧૫ ટકા કેસમાં આરટી-પીસીઆર ખોટા પડતા હોય છે. જો કોઈ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ દેખાતા હોય અને તેનો આરટી-પીસીઆર નેગેટિવ આવે તો તેને મોડું કર્યા વિના સિટી સ્કેન કરાવી લેવો જોઈએ.

પલ્મોનોલોજિસ્ટ ડૉ. સત્યનારાયણ મૈસુરનું માનીએ તો જો પેશન્ટને ચેપ લાગ્યાના નવમા દિવસે સેમ્પલ લેવાય તો આરટીપીસીઆરમાં કોરોના પકડાવવાના ચાન્સ ઘટી જાય છે. સિવાય સેમ્પલ લીધા બાદ લાંબા સમય પછી તેનો ટેસ્ટ કરાય તો પણ ખોટું પરિણામ આવી શકે છે. જેથી દર્દીએ આવું કંઈ થાય તો સીબી-એનએએટી ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

સિટી સ્કેનથી પણ ઈન્ફેક્શનની ખબર પડી જાય છે અને ઝડપથી ટ્રીટમેન્ટ શરુ થઈ શકે છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેટલીકવાર આરટીપીસીઆર નેગેટિવ આવ્યા બાદ પણ પેશન્ટનો કોવિડ એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ આવતો હોય છે. મતલબ કે વાયરસ તેમના શરીરમાંથી જતો રહ્યો છે, પરંતુ તેની અસર ચાલુ છે. જોકે, બેંગલુરુના ચીફ હેલ્થ ઓફિસર ડૉ. બી.કે. વિજેન્દ્રનું કહેવું છે કે, આરટીપીસીઆર ખોટા પડવાના પ્રમાણમાં કોઈ વધારો નથી થયો, તે - ટકા પર યથાવત છે. વળી, હાલનો ડેટા ઘણો મર્યાદિત છે, જેનાથી એમ ના કહી શકાય કે નવા વેરિયંટને કારણે ટેસ્ટ ખોટા આવે છે.

(7:22 pm IST)