Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

થરાદના મેઢાળા ગામમાં માતા-પુત્રની તિક્ષ્‍‍ણ હથિયારના ઘા ઝીકી હત્યા :પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ : થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ,એફએસએલ સાથે તપાસ શરૂ કરી

બનાસકાંઠાઃ થરાદના મેઢાળા ગામમાં 35 વર્ષીય પરિણીતા અને તેના 13 વર્ષીય દીકરાની હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતરમાં રહેતા માતા-પુત્રની તીક્ષ્‍ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવી છે. માતા-પુત્રની કરપીણ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. ત્યારે મૃતક યુવતીના પિયરપક્ષે જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

થરાદ પોલીસે ડોગ સ્ક્વોડ,એફએસએલ સાથે તપાસ શરૂ કરી છે. મૃતકની બન્ને લાશને પી એમ અર્થે થરાદ રેફરલ લાવવમાં આવી છે. 13 વર્ષીય પુત્ર અને માતાની હત્યા થતા ગામલોકોમાં પણ ઉગ્ર રોષ છે. હત્યા કોણે કરી અને હત્યારા કોણ હતા એ બાબતે પોલીસની સધન તપાસ ચાલુ છે. હત્યારા ન પકડાય તો લાશ ન સ્વીકારવાનો પરિવારે નિર્ણય લીધો છે.

માતા-પુત્રની હત્યાનું કારણ અકબંધ છે. સીતાબેન પટેલ (ઉં.વ.35) અને પરેશ પટેલ (ઉં.વ.13)ની અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી છે. મૃતક યુવતીને બે દીકરા છે, જેમાંથી નાનો દીકરો તેના મામા સાથે રહે છે.

(11:31 am IST)