Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મધ્ય પ્રદેશમાં અનલોકની પ્રક્રિયા શરૂ : ગૃહ વિભાગે જાહેર કરી ગાઇડલાઇન

રેસ્ટોરન્ટ અને ક્લબ 100 ટકા ક્ષમતા સાથે 10 વાગ્યા સુધી ખુલશે: લગ્નમાં સામેલ થઇ શકશે 100 લોકો: નાઇટ કરર્ફ્યું પણ રહેશે ચાલુ

ભોપાલ: મધ્ય પ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયા બાદ પ્રદેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર સતત પ્રદેશમાં આર્થિક ગતિવિધિઓને ખોલતી જાય છે. ગૃહ વિભાગ દ્વારા 31 જુલાઇ 2021 સુધી અનલોકની ગાઇડલાઇન જાહેર કરી છે.

ગૃહ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં સિનેમાઘર, જિમ, ફિટનેશ સેન્ટર અને રમતગમતની ગતિવિધિઓ પણ સંચાલિત કરવાના નિર્દેશ આપ્યા છે. જોકે આ બધા માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. સિનેમા ઘર 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, બીજી તરફ જિમ અને ફિટનેશ સેન્ટર 50 ટકા ક્ષમતા સાથે જ સંચાલિત થશે.

આ ઉપરાંત પ્રદેશમાં રમતગમતની ગતિવિધિઓ પણ શરૂ થશે. સ્ટેડિયમ ખોલવામાં આવશે, જોકે સ્ટેડિયમમાં ફક્ત ખેલાડીઓને જ એન્ટ્રી મળશે, દર્શકો પર પાબંધી રહેશે. તો બીજી તરફ રેસ્ટોરન્ટ અને ક્લબ 100 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરતાં રાત્રે 10 વાગ્યા સુધી ખુલી શકશે.
આ ઉપરાંત પ્રદેશમાં લગ્નને લઇને પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. હવે પ્રદેશમાં લગ્નના આયોજનમાં વર અને વધૂ બંને પક્ષના થઇને 100 લોકો હાજરી આપી શકશે. તો બીજી તરફ અંતિમ સંસ્કારમાં પણ હવે 50 લોકો સામેલ થઇ શકે છે. તો બીજી તરફ આંતરરાજ્ય તથા રાજ્યની અંદર વ્યક્તિઓ, માલ તથા સેવાઓની અવર જવર કરી શકશે.
 બીજી તરફ મધ્ય પ્રદેશમાં નાઇટ કરર્ફ્યું ચાલુ રહેશે. જોકે નાઇટ કરર્ફ્યુંનો સમય ઓછો કરી દેવામાં આવ્યો છે. કરર્ફ્યું રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. જ્યારે પરવાનગી સિવાય 6 લોકોથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. જોકે ગૃહ વિભાગ તરફથી લોકોને સાવધાની વર્તવાની અપીલ પણ કરવામાં આવી છે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

(12:00 am IST)