Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભારતીય સેના અફઘાન જશે તો પરિણામ ભોગવવા ધમકી

તાલીબાનો અફઘાનિસ્તાન પર કબજો જમાવી રહ્યા છે : તાલિબાન પ્રવક્તાએ ભારતને બીજા દેશોના હાલ જોઈને સબક લેવા સલાહ આપી, ઈશારો અમેરિકા તરફ હતો

કાબુલ, તા.૧૪ : અફઘાનિસ્તાનમાં ધીરે ધીરે પોતાનો કબજો જમાવી રહેલા તાલિબાને હવે ભારતને પણ ધમકી આપી છે. એક બાજુ તાલિબાને ભારત તરફથી અફઘાનિસ્તાનને કરવામાં આવતી મદદના વખાણ કર્યા છે તો સાથે ચેતવણી પણ આપી છે કે જો ભારતીય સેના ત્યાં જશે તો પરિણામ સારું નહીં આવે. તાલિબાનના પ્રવક્તાએ ભારતને બીજા દેશોના હાલ જોઈને સબક લેવાની સલાહ આપી છે. તાલિબાનનો ઈશારો અમેરિકા તરફ હતો.

તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીને ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો ભારત સેના સાથે અફઘાનિસ્તાન જશે તો ભારત માટે સારા પરિણામ નહીં આવે. તેમણે અફઘાનિસ્તાનમાં સેના અને અન્ય દેશોની હાજરીના પરિણામ જોયા છે. સિવાય તેમણે ભારતના વખાણ કરતાં કહ્યું કે, ભારતે અફઘાનિસ્તાનની મદદ કરી છે અને તે વખાણવાલાયક છે.

શાહીને આગળ જણાવ્યું કે, અફઘાનિસ્તાનના લોકો માટે બંધ બાંધવા, રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય પ્રોજેક્ટ તેમજ વિકાસના અન્ય કામો કરવા, લોકોની આર્થિક વૃદ્ધિ માટે કામ કરવા, વગેરેના અમે વખાણ કરીએ છીએ. સિવાય શાહીને જણાવ્યું કે, ભારતીય પ્રતિનિધીમંડળ સાથે અલગથી કોઈ મુલાકાત નથી થઈ, પરંતુ દોહામાં એક બેઠક દરમિયાન ભારતીય પ્રતિનિધીમંડળ હાજર હતું. તાલિબાન તરફથી દૂતાવાસોને કોઈ જોખમ નથી. અમે કોઈ દૂતાવાસ પર નિશાન નથી સાધી રહ્યા. અમે અમારા નિવેદનોમાં વાત ઘણી વાર કહી છે.

થોડા દિવસ પહેલા પકતિયામાં ગુરુદ્વારા પરથી નિશાન સાહિબ હટાવવાના આરોપને પણ તાલિબાનના પ્રવક્તાએ ફગાવ્યો છે. શાહીને કહ્યું કે, શિખ સમુદાય તરફથી તે ધ્વજને હટાવાવમાં આવ્યો હતો. જ્યારે તાલિબાની સુરક્ષા અધિકારી ત્યાં પહોંચ્યા તો લોકોએ કહ્યું કે જો કોઈ જોઈ લેશે તો તેમને હેરાન કરવામાં આવશે. તાલિબાનના સમજાવ્યા પછી ધ્વજ ફરીથી લહેરાવવામાં આવ્યો હતો.

(7:31 pm IST)