Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સુંજવાન હુમલામાં શહીદ જવાનોની સંખ્યા વધીને છ

સીઆરપીએફ કેમ્પ પર હુમલા બાદ ઓપરેશન જારી : સીઆરપીએફના કેમ્પ નજીક હજુ પણ ચાર ત્રાસવાદીઓ છુપાયા હોવાના અહેવાલ : નિયમિત ગાળામાં ગોળીબાર

શ્રીનગર,તા. ૧૩ : જમ્મુ કાશ્મીરના પાટનગર શ્રીનગરના કરણ નગર સ્થિત સીઆરપીએફ કેમ્પ પાસે સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ આજે પણ જારી રહી  હતી. સીઆરપીએફ કેમ્પ નજીક સ્થિત ચાર ત્રાસવાદીઓ હજુ છુપાયેલા હોવાના હેવાલ મળ્યા છે. આ ત્રાસવાદીઓ નિયમિત રીતે ગોળીબાર કરી રહ્યા છે. જો કે ત્રાસવાદીઓની યોજનાને નિષ્ફળ કરવામાં આવી રહી છે. બીજી બાજુ સુંજવાન આર્મી કેમ્પમાંથી વધુ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી આ હુમલામાં મોતનો આંકડો વધીને હવે છ થઇ ગયો છે. આ હુમલામાં છ જવાન શહીદ થયા છે અને એક નાગરિકનુ મોત થયુ છે. ચાર ત્રાસવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે શનિવારે સવારે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ તઇ ગયા હતા અને એક નાગરિકનુ મોત થયુ હતુ. હુમલાને અંજામ આપનાર  ચારેય ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો.  ભારતીય સેનાના જવાનોએ વધુ નુકસાન ન થાય તે હેતુસર આ ઓપરેશન ચલાવ્યુ હતુ. જેથી વધારે નુકસાન થયુ હતુ.  ઠાર મરાયેલા ત્રાસવાદીઓની પાસેથી એકે ૪૭ અને અન્ય ઘાતક હથિયારોનો જથ્થો મળી આવ્યા હતા. જે પણ કેટલાક પ્રશ્નો ઉભા કરે છે.  આર્મી કેમ્પ પર શનિવારે ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો.  ઓપરેશન ઓલઆઉટ સેનાએ હાથ ધરીને ૨૦૦થી વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓમાં ભારે દહેશત ફેલાઇ ગઇ છે. જેથી ત્રાસવાદીઓ સેનાના જવાનો અને તેમના પરિવારના સભ્યો પર હુમલા કરી રહ્યા છે.

દેશના તમામ લોકો સારી રીતે જાણે છે કે જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ઓપરેશન ઓલઆઉટ ચાલે છે. જેના ભાગરૂપે ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. ઓ ઓપરેશન મોતના ખેલ સમાન છે. ભારતીય સેનાના જવાનો સામે જઇને જંગ લડી રહ્યા છે. કારણ કે ત્રાસવાદીઓ સ્થાનિક વિસ્તાર અને વન્ય વિસ્તારમાં ક્યાં છુપાયેલા છે અને ક્યાંથી ગોળી આવી જાય તે કહી શકાય નહી. આવી સ્થિતીમાં ભારતીય લોકોના રક્ષણમાં રહેલા જવાનો સામે પ્રશ્ન કરવા અને શંકા કરવાની બાબત કોઇને પણ શોભા દેતી નથી.

(12:48 pm IST)