Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

દેશમાં વર્ષમાં વૃક્ષો, જંગલોમાં એક ટકાનો વધારો નોંધાયો

પાછલા દાયકામાં વિશ્વમાં જંગલ અને વૃક્ષની વૃધ્ધિમાં ઘટાડો થયો જ્યારે ભારતમાં વધારો થયો

નવી દિલ્હી તા. ૧૩ : સરકારે કરેલા તાજેતરના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે પાછલા બે વર્ષમાં ભારતમાં વૃક્ષ અને જંગલમાં એક ટકાનો અથવા તો ૮,૦૨૧ ચોરસ કિલોમીટરનો વધારો થયો હતો. પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધન અને એમના ડેપ્યુટી મહેશ શર્માએ ધી ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ (આઇએસએફઆર) ૨૦૧૭ જાહેર કર્યો હતો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે પાછલા દાયકામાં વિશ્વમાં જંગલ અને વૃક્ષની વૃદ્ઘિમાં ઘટાડો થયો હતો અને એ સામે ભારતમાં વધારો થયો હતો. રિપોર્ટ પ્રમાણે ભારતમાં કુલ ૭,૦૮,૨૭૩ ચોરસ કિ.મી. જંગલ છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારનો ૨૧.૫૪ ટકા જેટલો છે. જંગલ અને ઝાડ મળીને કુલ ૮,૦૨,૦૮૮ ચોરસ કિ.મી. અથવા તો કુલ ભૌગોલિક વિસ્તારનો ૨૪.૩૯ ટકા જેટલો છે.

પર્યાવરણ મંત્રાલયે જણાવ્યા અનુસાર તાજેતરના સર્વેક્ષણમાં એવું જણાયું હતું કે ૨૦૧૫ની સરખામણીએ ભારતમાં ગાઢ જંગલમાં ૧.૩૬ ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટ દર બે વર્ષે જાહેર કરવામાં આવે છે.

હર્ષવર્ધને જણાવ્યું હતું કે ગાઢ જંગલમાં થયેલો વધારો સંતોષજનક છે કારણ કે આ જંગલો મોટા પ્રમાણમાં કાર્બન ડાયોકસાઇડ પચાવે છે. આ સાથે અન્ય જંગલ વિસ્તારમાં પણ વધારો થયો છે.

ભૌગોલિક દૃષ્ટિએ સૌથી વધુ જંગલ લક્ષદ્વિપમાં (૯૦.૩૩ ટકા), ત્યાર બાદ મિઝોરમમાં (૮૬.૨૭ ટકા) અને આંદામાન તથા નિકોબાર આઇલેન્ડમાં (૮૧.૭૩ ટકા) જંગલો આવેલા છે. ૨૦૧૯ના આઇએફએસઆર રિપોર્ટની તૈયારી ચાલી રહી છે. જે પાંચ રાજયોમાં સૌથી વધુ જંગલ વધ્યા છે એમાં આંધ્ર પ્રદેશ (૨૧૪૧ ચોરસ કિ.મી.), કર્ણાટક (૧૧૦૧ ચોરસ કિ.મી.), કેરળ (૧૦૪૩ ચોરસ કિ.મી.), ઓડિશા (૮૮૫ ચોરસ કિ.મી.) અને તેલંગણા (૫૬૫ ચોરસ કિ.મી.)નો સમાવેશ થાય છે. જંગલમાં પાણીના  સ્ત્રોત વધારવામાં મહારાષ્ટ્ર (૪૩૨ ચોરસ કિ.મી.), ગુજરાત (૪૨૮ ચોરસ કિ.મી.) અને મધ્ય પ્રદેશ (૩૮૯ ચોરસ કિ.મી.)નો સમાવેશ થયો હતો.(૨૧.૭)

(10:45 am IST)