Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મેરિટમાં આવનારા અનામત વર્ગના ઉમેદવારોને સામાન્ય વર્ગમાં પ્રવેશ અપાશે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્‍હી : સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કોલેજમાં પ્રવેશ વખતે અનામતનો લાભ મેળવનાર ઉમેદવાર પોતાની પ્રતિભાને કારણે મેરિટ લિસ્ટમાં આવશે તો તેને સામાન્ય કક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. મેરિટમાં આવનાર ઉમેદવાર તેને અનામત શ્રેણીમાં પ્રવેશ આપવા આગ્રહ કરે તો પણ તેને સામાન્ય કક્ષામાં જ પ્રવેશ આપવામાં આવશે. આ સ્થિતિમાં મેરિટમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારની અનામત બેઠક પર પણ અનામત કક્ષાના ઉમેદવારને જ પ્રવેશ આપવામાં આવશે, સામાન્ય કક્ષાના ઉમેદવારને તે અનામત બેઠક પર પ્રવેશ આપવામાં આવશે નહીં. જસ્ટિસ અરુણ મિશ્રા, એમ. શાંતાનાગૌદરની બનેલી બેન્ચે પટના હાઈકોર્ટના ચુકાદા પર મંજૂરીની મહોર મારી હતી.

ઉલ્લેખનીય છે કે કેસ બિહારનો છે. મેડિકલ કોલેજના અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થી ત્રિપુરી શરણે પટના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સામાન્ય મેરિટમાં પસંદ થયેલો અનામત શ્રેણીનો ઉમેદવાર તેને અનામતકક્ષામાં પ્રવેશ આપવામાં કહે તો પણ તેને સામાન્ય કક્ષની બેઠક પર જ પ્રવેશ આપવામાં આવે. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે આમ કરવાથી ૫૦ ટકાનો નિયમ પણ નહીં તૂટે. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે આ નિયમ માત્ર કોલેજમાં પ્રવેશ માટે અમલી રહેશે, નોકરી માટે નહીં. નોકરી માટે સ્થિતિ અલગ રહેશે.

અરજદારે સામાન્યવર્ગની બેઠક પર માત્ર સામાન્ય વર્ગના ઉમેદવારની જ પસંદગી કરવામાં આવે તે મુજબ કરેલી રજૂઆતને પણ ફગાવી દીધી હતી. અરજદારનું કહેવું હતું કે અનામત વર્ગના ઉમેદવારને સામાન્ય બેઠક પર પ્રવેશ આપવામાં આવશે તો સામાન્ય કક્ષા માટેની બેઠક ઘટી જશે. કોર્ટના આ ચુકાદા પછી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે કોઈપણ કોલેજમાં અનામત કોટા ધરાવતો ઉમેદવાર પોતાની પ્રતિભાના બળે મેરિટમાં આવે છે તો તેને સામાન્ય વર્ગની બેઠક પર જ પ્રવેશ આપવામાં આવશે.

(12:38 pm IST)