Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

બૂથને મજબૂત બનાવવા માટે મુલાયમ સિંહ યાદવ ની કાર્યકરોને સલાહ

યુપીની ચૂંટણી નજીક આવતા મુલાયમ સિંહ યાદવ કઠોર બન્યા : સપાના નેતા લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય પહોંચી ગયા હતા અને નવયુવાનોની મુલાકાત તેમને ટિપ્સ આપી

લખનૌ, તા.૧૩ : બૂથ પર શું ચાલી રહ્યું છે, તમે લોકો હવામાં રહો, ભાજપવાળા બૂથ પર કામ કરી રહ્યા છે, બૂથને મજબૂત બનાવો, દરેક મંડળમાં રેલી યોજો, નેતાજી એટલે કે મુલાયમ સિંહ યાદવ લાંબા સમય બાદ ફરી એક વખત સક્રિય બની ગયા છે. મુલાયમ સિંહ યાદવ તાજેતરમાં સમાજવાદી પાર્ટી (સપા)ના કાર્યાલય પહોંચ્યા હતા અને પાર્ટીના અનેક કાર્યકરોને મળ્યા હતા. મુલાયમ સિંહ ઘણાં લાંબ સમયથી બીમારીના કારણે રાજકારણમાં સક્રિય નહોતા પરંતુ જેમ જેમ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ નેતાજી ફરી સક્રિય બની રહ્યા છે. ગત સપ્તાહે તેઓ લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલય પહોંચી ગયા હતા અને અનેક નવયુવાનોની મુલાકાત લઈને તેમને બૂથ મેનેજમેન્ટ માટેની ટિપ્સ આપી હતી.

મુલાયમ સિંહએ સપાના આશરે ડઝન જેટલા કાર્યકરોની મુલાકાત લીધી હતી. તેમાં એક પાર્ટી કાર્યકરે જણાવ્યું કે, નેતાજીએ સૌથી પહેલા અમને અમારા બૂથ વિશે પુછ્યું હતું. નેતાજીએ કહ્યું હતું કે, તમે લોકો બૂથ પર શું કરી રહ્યા છો, બૂથને મજબૂત બનાવો, ભાજપવાળા બૂથ પર કામ કરી રહ્યા છે, હવામાં રહેતા.

બૂથ મેનેજમેન્ટની ટિપ્સ આપવાની સાથે મુલાયમ સિંહે કહ્યું હતું કે, તેઓ દરેક મંડળસ્તરે રેલીને સંબોધિત કરશે. આશરે એક કલાક સુધી નેતાજીની પાઠશાળા ચાલી હશે. જતા જતા તેમણે કહ્યું હતું કે, તેઓ ચૂંટણીમાં સંપૂર્ણપણે સક્રિય રહેશે અને પાર્ટીનો દરેક કાર્યકર પોતાના બૂથને મજબૂત કરે.

(7:38 pm IST)