Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પાટીદારો હવે અમેરિકામાં બંધાવશે ઉમિયા માતાના ભવ્ય મંદિરો

૨૦૧૮ના અંત સુધીમાં ન્યુજર્સી, બોસ્ટન અને મેસેચ્યુસેટ્સમાં ઉમિયા માતાના ત્રણ મંદિરો ભકતજનો માટે ખુલ્લા મુકાશે

નવી દિલ્હી તા. ૧૩ : ઉમિયા માતામાં અપાર શ્રદ્ઘા ધરાવતા પાટીદારો હવે અમેરિકામાં ત્રણ જગ્યાએ ઉમિયા માતાના ભવ્યાતિભવ્ય મંદિરો બનાવડાવવાનું આયોજન કરી રહ્યા છે. ૨૦૧૮ના અંત સુધીમાં ન્યુ જર્સી, બોસ્ટન અને મેસેચ્યુસેટ્સમાં ઉમિયા માતાના ત્રણ મંદિરો ભકતજનો માટે ખુલ્લા મૂકવામાં આવશે. ત્યાર બાદ પાટીદારો માતાજીના બીજા ચાર મંદિરો બનાવડાવવાનું વિચારી રહ્યા છે.

 

ઉમિયા માતા કડવા પાટીદાર સમાજના કુળદેવી છે. તેમનું મુખ્ય મંદિર મહેસાણાના ઉંઝામાં આવેલું છે. ઉમિયા માતાનું પ્રથમ મોટુ મંદિર ૨૦૧૩માં જયોર્જિયાના મેકનમાં બન્યું હતુ. માતાજી માટે એક રથ પણ તૈયાર કરવામાં આવ્યો હતો જે ખાસ ગુજરાતથી અમેરિકા લઈ જવાયો હતો. ઉંઝાના ઉમિયા માતા સંસ્થાનના સેક્રેટરી દીલિપ પટેલ જણાવે છે, 'અમેરિકામાં પાટીદારોની ઘણી સંખ્યા છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓમાંથી અડધા પાટીદાર છે. આ કોમની લાગણી હતી કે ત્યાં માતાજીનું મંદિર બને.'

 

પટેલે વધુમાં જણાવ્યું, 'જો ભારતમાં કોઈ ઉમિયા માતાનું મંદિર બને તો તેના માટે જયોત ઉંઝાના મંદિરેથી જ મોકલવામાં આવે છે. વિદેશમાં એ શકય ન હોાને કારણે આ પ્રતિમાઓ નિષ્ણાંત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવશે. આ મંદિર પાટીદારો તથા આસપાસના વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ માટે ભેગા મળવાનું સ્થળ પણ બની રહેશે.'

હાલમાં જેનું નિર્માણ થઈ રહ્યું છે તે બોસ્ટન મંદિરના ટ્રસ્ટી ગોવિંદ પટેલ જણાવે છે કે, 'શહેરની વચ્ચોવચ ૨૦ એકરનો પ્લોટ ૪.૧ મિલિયનના ભાવે ખરીદવામાં આવ્યો છે. આ સાથે ૮૦,૦૦૦ સ્કવેર ફીટમાં પથરાયેલુ મંદિર બનાવવા માટે ઼૩ મિલિયનનો વધારાનો ખર્ચો કરવામાં આવશે. આ શહેરમાં લગભગ ૧૦,૦૦૦ જેટલા ગુજરાતીઓ વસે છે. અમે મોટા તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ. આ મંદિરમાં મોટા સંમેલન માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.' ગોવિંદ પટેલ મહેસાણા જિલ્લાના ઝુલાસણના વતની છે. તેમણે જણાવ્યું કે ઈલિનિયોસ, ન્યુ જર્સી, કેલિફોર્નિયા, કેન્ટકી, સાઉથ કેરોલિના અને ટેનેસીમાં મંદિરો બંધાઈ રહ્યા છે.

ઘણા લોકો આ મંદિરોને પાટીદારોની સમાજમાં અને રાજકારણમાં વગ વધારવાના માધ્યમ તરીકે પણ જોય છે. પરંતુ બીજા મંદિરો સાથે પણ જોડાયેલા સંસ્થાનના અધિકારીઓ આ વાતને નકારી દે છે. ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખ પ્રહલાદ પટેલ જણાવે છે, 'આ મંદિરો સંગઠન, એકતા અને શ્રદ્ઘાનું પ્રતીક છે. આ સામાજિક સંસ્થા બધાને ખુલ્લા મને આવકારે છે. આ પ્લેટફોર્મ સામાજિક પ્રવૃત્ત્િ।ઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. પાટીદારોને કોઈ અલગ ઓળખની જરૂર નથી. તેમણે તેમનું કૌવત યુ.એસમાં પુરવાર કરી દીધું છે.'(૨૧.૯)

 

(1:00 pm IST)