Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ચીફ જસ્ટીસ સામે સવાલ ઉઠાવનાર ચાર જ્જોને ઓળખો...

ત્રણ તલાકનો ફેંસલો આ પંચ પરમેશ્વરે સંભળાવ્યો હતોઃ ચીફ જસ્ટીસ દિપક મિશ્રા ત્યારે ચર્ચામાં આવ્યા જયારે જ્જને કહેવુ પડયુ, 'ભગવાન કે લીયે ઐસા ન કહે'

નવી દિલ્હી તા.૧ર : સુપ્રિમ કોર્ટના સીનીયર જ્જોએ ઇતિહાસમાં પહેલી વખત દેશમાં સામે આવી સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલી અનિયમિતતાઓ પત્રકારો સમક્ષ મુકી છે. આ જ્જોમાં જસ્ટીસ જે.ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોય, જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીસ કુરીયન જોસેફ સામેલ છે.

 

જસ્ટીસ જે.ચેલમેશ્વર

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ર૩ જુલાઇ ૧૯પ૩માં જન્મેલા જસ્ટીસ જસ્તી ચેલમેશ્વરએ દ.ભારતની પ્રતિષ્ઠીત મદ્રાસ લોયલા કોલેજમાં ભૌતિકશાસ્ત્ર વિષય ઉપર સ્નાતક ડીગ્રી મેળવી હતી ત્યારબાદ આંધ્ર વિશ્વ વિદ્યાલયમાંથી ૧૯૭૬માં કાનૂની અભ્યાસ પુરો કર્યો ત્યારબાદ ૧૩ ઓકટોબર ૧૯૯પમાં ચેલમેશ્વર એડીશ્નલ એડવોકેટ જનરલ બન્યા. પાછળથી ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશની ભુમિકા પુરી કરી ર૦૧૧માં સુપ્રિમ કોર્ટના જ્જ બન્યા.

જસ્ટીસ રંજન ગોગોય

૧૮મી નવેમ્બર ૧૯પ૪માં જન્મેલા જસ્ટીસ રંજન ગોગોય ૧૯૭૮માં વકીલ બન્યા. ગુવાહાટી હાઇકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા પછી ર૮ ફેબ્રુઆરી ર૦૦૧ના તેઓ ગુવાહાટી હાઇકોર્ટમાં કાયમી જ્જ તરીકે નિયુકિત પામ્યા. ત્યારબાદ ૯ સપ્ટેમ્બર ર૦૧૦માં તેમની બદલી પંજાબ-હરીયાણા હાઇકોર્ટમાં થઇ. ર૩ એપ્રિલ ર૦૧રના તેઓ સુપ્રિમ કોર્ટમાં જ્જ બન્યા. રંજન ગોગોય સુપ્રિમ કોર્ટની એ બેન્ચમાં સામેલ હતા જેણે સુપ્રિમ કોર્ટના પુર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્ઝુને સોમિયા મર્ડર કેસ ઉપર બ્લોગ લખવા બાબતે અંગત રીતે અદાલતમાં રજુ થવાનો હુકમ કર્યો હતો.

જસ્ટીસ મદન ભીમરાવ લોકુર

જસ્ટીસ મદન ભીમરાવ લોકુરનો જન્મ ૩૧ ડિસે. ૧૯પ૩ના થયો હતો. તેઓએ દિલ્હીની મોર્ડન સ્કુલમાં અભ્યાસ કર્યો અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ઇતિહાસ વિષય ઉપર સ્નાતક ડીગ્રી મેળવ્યા બાદ દિલ્હી યુનિ.માંથી જ ૧૯૭૭માં એલએલબીની ડીગ્રી મેળવી તેમણે દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં વકીલાત પણ કરી. ૧૯૮ ૧માં તેઓ પરીક્ષા પાસ કરી સુપ્રિમ કોર્ટમાં 'એડવોકેટ ઓન રેકોર્ડ' સ્થાપિત થયા. તેમણે સિવિલ ક્રિમીનલ કોન્સ્ટીટયુશનલ લો અને રેવન્યુ એન્ડ સર્વિસ લોમાં વિશેષતા મેળવી છે. ૧૯૯૦ થી ૧૯૯૬ સુધી તેઓ કેન્દ્ર સરકારના વકતા રહ્યા અને કેન્દ્ર સરકાર વતી તમામ કેસોની દલીલો કરી. તેમને ૪ જુન ર૦૧રના સુપ્રિમ કોર્ટના જ્જ નિયુકત કરવામાં આવ્યા.

જસ્ટીસ કુરીયન

જસ્ટીસ કુરીયનનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯પ૩ના રોજ કેરળમાં થયો હતો. તેમણે કેરળ લો એકેડેમી લો કોલેજ, તિરૂવન્તપુરમમાંથી કાનૂની અભ્યાસ કર્યો હતો. ૧૯૭૭-૭૮માં તેઓ કેરળ યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સીલ સભ્ય બન્યા. ૧૯૮૩ થી ૧૮૮પ સુધી કોચી યુનિવર્સિટીના સેનેટ મેમ્બર રહ્યા. ૧૯૭૯માં કેરળ હાઇકોર્ટમાંથી વકીલાત શરૂ કરવાવાળા કુરીયન ૧૯૮૭માં સરકારી વકીલ બન્યા અને ૧૯૯૪ થી ૧૯૯૬ સુધી એડીશ્નલ જનરલ એડવોકેટ પદ ઉપર રહ્યા. ૧૯૯૬માં તેઓ સીનીયર વકીલ બન્યા અને ૧ર જુલાઇ ર૦૦૦ના કેરળ હાઇકોર્ટમાં જ્જ બન્યા. ર૦૦૬ થી ર૦૦૮ વચ્ચે તેઓ કેરળ ન્યાયીક એકેડેમીકમાં અધ્યક્ષ રહ્યા. ર૦૦૮માં તેઓ લક્ષ્યદ્વીપ લીગલ સર્વિસ ઓથોરીટીના અધ્યક્ષ બન્યા. ત્યારબાદ તેઓ ૮ ફેબ્રુઆરી ર૦૧૦થી ૭મી માર્ચ ર૦૧૩ સુધી હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ રહ્યા. ૮ માર્ચ ર૦૧૩થી જસ્ટીસ કુરીયન સુપ્રિમ કોર્ટના જજ બન્યા. તેઓ ર૯ નવેમ્બર ર૦૧૮ના નિવૃત થશે.

(4:03 pm IST)