Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સરકારે ૬૦ ટકા વસતીનો અવાજ દબાવી દીધોઃ રાહુલ ગાંધી

મહિલા સાંસદો સાથેની ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરી : વિપક્ષોની સંસદ ભવનથી વિજય ચોક સુધીની પદયાત્રા

 

નવી દિલ્હી, તા.૧૨ : વિપક્ષી દળોના સાંસદ ૧૨.૧૫ વાગે રાજ્યસભાના સભાપતિ એમ.વેકૈંયા નાયડુને મળીને સદનમાં મહિલા સાંસદો સાથે થયેલી ગેરવર્તણૂકની ફરિયાદ કરી.

 આ નિર્ણય બંને સદનમાં વિપક્ષના નેતાઓની બોલાવવામાં આવેલી મીટિંગમાં લેવામાં આવ્યો. મિટીંગ ખતમ થવા પર વિપક્ષ દળના નેતાઓએ સંસદ ભવનમાંથી વિજય ચોક સુધી પગપાળા પદયાત્રા કરી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યુ કે સંસદમાં સત્તાધારી દળના સાંસદોએ વિપક્ષી નેતાઓને બોલવા દીધા નહીં. તેમણે સરકાર પર દેશની ૬૦% વસતીનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યુ, સંસદ સત્ર ખતમ થઈ ચૂક્યુ છે. સ્પષ્ટ રીતે જ્યાં સુધી દેશના ૬૦% ભાગની વાત છે તો તેમના માટે કોઈ સંસદ સત્ર હતુ નહીં કેમ કે ૬૦% લોકોનો અવાજ દબાવી દેવાયો. તેમને હેરાન કરવામાં આવ્યા અને રાજ્યસભામાં તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો, અમે સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી. સરકારે પેગાસસ પર ચર્ચા કરવાનો ઈનકાર કરી દીધો.

રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષને સંસદમાં બોલવાથી રોકવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ, અમે ખેડૂતોનો મુદ્દો સંસદની બહાર ઉઠાવ્યો કેમ કે અમને સંસદમાં આની પરવાનગી મળી નહીં. અમે મોંઘવારીનો મુદ્દો પણ સંસદની બહાર જ ઉઠાવ્યો અને આજે અમે તમારી સાથે વાત કરવા આવ્યા છીએ કેમ કે સત્તાધારી દળ અમને સંસદમાં બોલવા દેતા નથી. આ દેશના લોકતંત્રની હત્યાથી ઓછુ નથી.

(7:49 pm IST)