Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાષ્ટ્રહિતમાં સરકાર મોટું જોખમ ઊઠાવવા પણ તૈયાર

સીઆઈઆઈની વાર્ષિક બેઠકમાં વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન : આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાની ઘણી ખરી જવાબદારી ભારતીય ઉદ્યોગો ઉપર હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું

નવી દિલ્હી, તા.૧૧ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) ની વાર્ષિક બેઠકમાં કહ્યું કે આત્મનિર્ભર  ભારત અભિયાનની સફળતાની ઘણી મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. આ બેઠકનો વિષય 'India@75: Government and Business Working Together for #AatmaNirbharBharat' છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સીઆઈઆઈની આ બેઠક આ વખતે ૭૫મા સ્વતંત્રતા દિવસના માહોલમાં, આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે થઈ રહી છે. ભારતીય ઉદ્યોગ જગતના નવા સંકલ્પો, નવા લક્ષ્યો માટે આ ખુબ મોટો અવસર છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાની ઘણી ખરી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. તેમણે કહ્યું કે આજનું નવું ભારત, નવી દુનિયા સાથે ચાલવા માટે તૈયાર છે. તત્પર છે. જે ભારત એક સમયે વિદેશી રોકાણથી આશંકિત હતું તે આજે દરેક પ્રકારના રોકાણનું સ્વાગત કરી રહ્યું છે. ભારતમાં બનેલા પ્રોડક્ટ્સના મહત્વ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આજે દેશવાસીઓની ભાવના, ભારતમાં બનેલી પ્રોડક્ટ્સ સાથે છે. કંપની ભારતીય હોય તે જરૂરી નથી. પરંતુ આજે દરેક ભારતીય ભારતમાં બનેલી પ્રોડક્ટ્સ અપનાવવા માગે છે.  તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે આપણને એવું લાગતું હતું કે જે કંઈ પણ વિદેશી છે તે સારું છે.

        આ સાઈકોલોજીનું પરિણામ શું આવ્યું તે તમારા જેવા ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સારી પેઠે જાણે છે. આપણી પોતાની બ્રાન્ડ પણ જે આપણે વર્ષોની મહેનત બાદ ઊભી કરી હતી તેને વિદેશી નામોથી જ પ્રચારિત કરવામાં આવતી હતી.  બદલાતા દૌરમાં યુવાઓમાં વધેલી હિંમતને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના યુવાઓ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે તેમનામાં એ ખચકાટ નથી હોતો. તેઓ મહેનત કરવા માગે છે. તેઓ રિસ્ક લેવા માગે છે. તેઓ પરિણામ લાવવા માગે છે. હા અમે આ જગ્યા સાથે સંબંધ ધરાવીએ છીએ. આ ભાવ આજે અમે આપણા યુવાઓમાં જોઈ રહ્યા છીએ. આ પ્રકારનો આત્મવિશ્વાસ આજે ભારતના સ્ટાર્ટઅપ્સમાં છે.  જીએસટી લાગૂ કરવાના નિર્ણય પર પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં એ સરકાર છે જે રાષ્ટ્રહિતમાં મોટામાં મોટું જોખમ ઉઠાવવા માટે તૈયાર છે. જીએસટી આટલા વર્ષો સુધી અટક્યું કારણ કે જે પહેલા સરકારમાં હતા તેઓ પોલિટિકલ રિસ્ક લેવાની હિંમત ભેગી કરી શક્યા નહીં. અમે જીએસટી માત્ર લાગૂ નથી કર્યો પરંતુ આજે અમે રેકોર્ડ જીએસટી કલેક્શન થતું પણ જોઈએ છીએ.

(12:00 am IST)